– વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી હરેન પંડ્યાની થયેલી હત્યાના મામલે હૈદરાબાદ પોલીસે 8 શખસોની ધરપકડ કરી હતી.જેમને હૈદરાબાદની મેટ્રોપોલિટન કોર્ટે 19 વર્ષ બાદ પુરાવાના અભાવે છોડી દીધા છે.આ શખસો સામે હૈદરાબાદ પોલીસે વિદેશમાં જઈ આતંકવાદી તાલીમ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો.જોકે, યુવકોના પરિવારે આ આરોપો નકારી દીધા હતા.
– ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપમાં હૈદરાબાદના 8 યુવકોની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી.
હાઈલાઈટ્સ:
– 26 માર્ચ, 2003એ ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી હરેન પંડ્યાની અમદાવાદમાં હત્યા કરી દેવાઈ હતી.
– આ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપ હેઠળ હૈદરાબાદ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી હતી.
– તેમની સામે પાસપોર્ટમાં ચેડાં કરી બેંગકોંગ અને હોંગકોંગ જઈ તાલીમ લેવાનો આરોપ લગાવાયો હતો.
હૈદરાબાદ : વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી હરેન પંડ્યાની જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.હૈદરાબાદ શહેરના 8 શખસો પર આ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો અને તેમની સામે કેસ નોધાયો હતો. હરેન પંડ્યાની હત્યાની ઘટનાના 19 વર્ષ પછી આ 8 આરોપીઓને હૈદરાબાદની મેટ્રોપોલિટન કોર્ટે પુરાવાના અભાવે છોડી દીધા છે.
અમદાવાદમાં 26 માર્ચ, 2003એ હરેન પંડ્યા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા એ સમયે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.હૈદરાબાદ સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (સીસીએસ)એ હૈદરાબાદના સૈદાબાદ અને મદન્નાપેત વિસ્તારના કેટલાક યુવકો સામે તે સમયે આ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવા મામલે કેસ નોંધ્યો હતો.
આ શખસો સામે રાજ્ય સામે યુદ્ધ છેડવુ,રાજદ્રોહ,પુરાવાનો નાશ કરવો,ધર્મ પર હુમલાની કલમો તેમજ ભારતીય પાસપોર્ટ એક્ટની કલમ 12 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.આ શખસો પર વિદેશમાં આતંકવાદી તાલીમ લેવાનો આરોપ પણ લગાવાયો હતો.જોકે, કોર્ટે આ આરોપોને સાબિત કરતા પુરવા અપૂરતા હોવાનું કહ્યું હતું.તપાસનીસ અધિકારીઓ દ્વારા આ કેસમાં જુબેર શરીફ,સૈયદ મુબાશીર હુસૈન,સૈયદ ઐઝાઝ અહમદ,મોહમ્મદ વાજિદ અહમદ,મોહમ્મદ માજીદ,સૈયદ અબ્દુલ નયીમ, સૈયદ ઓમર અને સૈયદ ઐઝાઝ અહમદ ઉર્ફે છોડા આઝાદ (તમામ હૈદરાબાદના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસનો દાવો હતો કે, પકડાયેલા યુવકોને હોંગકોંગ અને બેંગકોંગમાં હુમલાની તાલીમ માટે મોકલાયા હતા અને તેમણે ત્યાં જવા માટે પોતાના પાસપોર્ટ સાથે છેડછાડ કરી હતી. આ આરોપોને યુવકોના પરિવારજનોએ નકારી દીધા હતા.ફરિયાદી પક્ષ આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહેતા મેટ્રોપોલિટન સેશન્સ જજે તમામને છોડી મૂક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હરેન પંડ્યાની હત્યાએ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચાવી દીધી હતી.આ હત્યામાં ભાજપના ટોચના નેતા સામેલ હોવાના આરોપ પણ લાગ્યા હતા.જોકે, એ વાત ક્યારેય સાબિત થઈ શકી નથી.આ મામલો હજુ પણ ઘણી વખત ઉછળતો રહે છે.

