અમદાવાદ,રવિવાર,15 મે,2022 : વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદના જોવાલાયક સ્થળોની યાદીમાં જે સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.એ સ્થળમાં માણેકચોકમાં આવેલા રાત્રિ ખાણી-પીણી બજારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કમનસીબી એ વાતની છે કે આ બજારમાં વર્ષ-૨૦૧૬માં ૪૧ લોકોને ઉભા રહેવા માટે પરવાનો આપવામાં આવ્યો હતો.હાલમાં પોલીસ તરફથી આપવામાં આવેલા પરવાના ઉપરાંત વધુ ૩૦થી ૩૫ લોકો દબાણ કરી બેસી જાય છે.આ પરિસ્થિતિમાં માણેકચોક અને આસપાસના વિસ્તારની પોળોમાં રહેતા લોકોને દિવસે કે રાત્રિના સમયે જવુ કે આવવુ પણ મુશ્કેલ બની ગયુ છે.આટલુ ઓછુ હોય એમ રાત્રિના સમયે ખાણી-પીણી બજારમાં સાયરન સાથે પી.સી.આર.વાન દોડાવવામાં આવે છે આ કારણથી આ વિસ્તારની પોળોમાં રહેતા રહીશોના જીવ ઉચાટમાં મુકાવાની સાથે રાતના સમયે તેઓ સૂઈ પણ શકતા નથી.
અમદાવાદની ઓળખ કે ગૌરવ ગણાતુ માણેકચોકનું ખાણી-પીણી બજાર હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ ઉપરાંત ચૂંટાયેલા રાજકારણીઓ અને પોલીસની રહેમનજર હેઠળ દબાણોનું બજાર થઈ જવા પામ્યુ છે.આ ખાણી-પીણી બજાર આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો છે.અનેક પોળોમાં આજે પણ રહીશો એમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે.આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાણી-પીણી બજારમાં વ્યવસાય કરવા માટે પોલીસની પરવાનગી મેળવવાની હોય છે.વર્ષ-૨૦૧૬-૧૭ની મળેલી સત્તાવાર માહિતી મુજબ એ વર્ષમાં શહેર પોલીસ દ્વારા કુલ મળીને ૪૧ લોકોને આ બજારમાં વ્યવસાય કરવા પરવાનો આપ્યો હતો.હાલમાં પાંચ વર્ષ બાદ પરિસ્થિતિ એવી જોવા મળે છે કે, આ સ્થળે આવેલા પાર્કીંગની જગ્યામાં પણ જે લોકો પાસે પરવાનો નથી એવા લોકો દબાણ કરીને બેસી ગયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટ વિભાગ તરીકે જાણીતા એસ્ટેટ વિભાગ તરફથી માણેકચોક ખાણી-પીણી બજાર હોય કે ભદ્ર પ્લાઝા વિસ્તાર કયારેય પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્માએ જેવી રીતે હિંમત કરી તમામ દબાણો એમના સમયમાં દુર કરાવ્યા હતા એ પ્રમાણે હાલમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.માણેકચોક વિસ્તારમાં જયાં આ ખાણી-પીણી બજાર ભરાય છે તે વિસ્તારમાં આવેલી પોળોમાં રહેતા રહીશો ત્રાહીમામ બની ગયા છે.દિવસ હોય કે રાતનો સમય દબાણોથી તેઓ ઘેરાયેલા રહે છે.આ કારણથી કોઈ બિમારને ૧૦૮ કે એમબ્યુલન્સની મદદથી દવાખાને સારવાર માટે લઈ જવાના હોય તો તે માટે પણ રસ્તો મળતો નથી.
માણેકચોક રાત્રિ ખાણી-પીણી બજાર હોય કે ભદ્ર પ્લાઝાના દબાણ હોય.આ બંને સ્થળેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ કે પોલીસ દ્વારા દબાણ દુર કરાવાતા નથી.આમ ના કરવા પાછળ આ તમામને નિયમિત હપ્તા પહોંચાડવામાં આવતા હોવાની સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઈન્સપેકટરથી લઈ ટી.ડી.ઓ.સુધી,હેલ્થ વિભાગના અધિકારીઓના હપ્તા ઉપરાંત પોલીસમાં પણ ભરણની રકમ પહોંચતી કરવામાં આવતી હોવાની પણ વાત છે.સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધીઓ એ હાલના હોય કે પૂર્વ તમામને હપ્તા પહોંચાડવામાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.અહીં વાત એ છે કે,બજારમાં ઉભા રહી વ્યવસાય કરવા પોલીસે ૪૧ લોકોને પરવાના આપ્યા પછી કયારેય એ તપાસ કરી છે ખરી કે પરવાનો આપતા સમયે પરવાનેદારને જે શરતનુ પાલન કરવા કહેવાયુ હતુ એનુ પાલન થાય છે કે કેમ? મુળ પરવાનેદારોએ આજે તેમને આપવામાં આવેલી જગ્યા ભાડે આપીને એ ભાડુ વસૂલી રહ્યા છે.તો એ જોવાની જવાબદારી કોની?
અમદાવાદ શહેરને ભાજપે લિવેબલ સિટી બનાવવાની બજેટમાં ત્રણ વર્ષ અગાઉ મોટા ઉપાડે જાહેરાત કરી હતી.આ જાહેરાત કરવાવાળા માણેકચોકમાં આવેલી પોળમાં એક દિવસ રહીને બતાવે પછી એમને સમજાશે કે તેમણે કરેલી લિવેબલ સિટીની જાહેરાત માત્ર એક ગુલબાંગ અને લોકોને ભ્રમમાં નાંખવા સિવાય કશુ નથી.ખાડિયાના ધારાસભ્યે પણ માણેકચોક હોય કે ભદ્ર પ્લાઝા આ બંને સ્થળના દબાણો દુર કરવા પાંચ વર્ષમાં એક પણ વખત મ્યુનિસિપલ કમિશનર કે શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે ખરી? અને જો કરી હોય તો કેમ આ સ્થળના દબાણો દુર કરાતા નથી એવો સવાલ માણેકચોક-ખાડિયાના રહીશો કરી રહ્યા છે.લોકોને જાગતા રાખી હપ્તા લેનારાઓ શાંતિથી સૂઈ જતા હોવાનું પણ સ્થાનિક રહીશોમાંથી સાંભળવા મળી રહ્યુ છે.