કલ્પના કરો કે એક દિવસ રોજની માફક તમે કામ પરથી ઘેર પરત ફરો છો અને દરવાજા પાસે ખાખી રંગનું એક પાર્સલ ડિલીવર થયેલું દેખાય છે.ઘરમાં જઈને ફટાફટ તમે એ નાનકડા બોક્સને ખોલો છો અને એમાંથી શું નીકળે છે? સાત કેસેટ! (હા.. એ જ ઓડિયો-કેસેટ જે અત્યારે ફેશનમાં નથી પણ આપણા બાપ-દાદાઓ એને સાંભળીને જ ઘરડાં થયાં છે.) બંને બાજુ રેકોર્ડ થઈ શકે તેવી એ ઓડિયો-કેસેટની ૧૩ સાઈડ રેકોર્ડેડ છે.અત્યંત ઉત્સુક્તાથી તમે ક્યાંકથી વૉક-મેન (ઓડિયો કેસેટ સાંભળવા માટેનું સાધન)નો જુગાડ કરીને ટેપ સાંભળવા બેસી જાઓ છો.
ટેપ ચાલુ કરતાંની સાથે જ પહેલું વાક્ય એવું સાંભળવા મળે કે, “જો તમે આ ટેપ સાંભળી રહ્યો છે તો એનો મતલબ એમ છે કે હું મૃત્યુ પામી છું અને મારી આત્મહત્યા પાછળનું એક કારણ તમે પણ છો!” વિચાર કરો, રૂંવાડા ઉભા થઈ જાય કે નહીં? એક મરેલી વ્યકિતની ટેપ તમારા સુધી પહોંચી છે અને ટેપમાંની એ વ્યક્તિ તમને એનાં મોતનું કારણ ગણાવી રહી છે. ભયનું લખલખુ પસાર થઈ જાય, સાહેબ!
વાત છે એક ટીન-એજ યુવતી હેનાહ બેકરની! નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી આ અમેરિકન ટીવી સીરિઝ IMDB રેન્કિંગમાં ટોપ પર છે.હાઈસ્કૂલમાં ભણતી એક સામાન્ય વિદ્યાર્થિની હેનાહ બેકર પોતાની આસપાસના લોકો અને પરિબળોથી કંટાળીને જયારે આત્મહત્યા કરી લે છે ત્યારે ૧૩ વ્યક્તિને તેનાં મૌત માટે જવાબદાર ઠેરવે છે. આ ૧૩ વ્યકિતની વાત એટલે 13 Reasons Why નામની આ ટીવી સીરિઝ.જે ઓરિજીનલી તો આ જ નામ ધરાવતી એક અંગ્રેજી નવલકથા પરથી લખાઈ છે. જેના લેખક ૪૨ વર્ષીય જય એશર છે. (નામ પરથી ભલે ભારતીય લાગે, પણ છે કેલિફોર્નિયાનાં રહેવાસી) ૨૦૦૭માં લખાયેલી આ નવલકથાને ન્યુયોર્ક બેસ્ટ સેલિંગ પુસ્તકનો ખિતાબ મળી ગયો છે.
૨૮૮ પાનાંની આ નવલકથા પરથી બનેલી ‘થર્ટીન રિઝન્સ વ્હાય’માં હેનાહ બેકર પોતાની આત્મહત્યા કરવા પાછળનાં કુલ ૧૩ કારણો આપે છે.જેમ જેમ સીરિઝ આગળ વધતી જાય છે તેમ તેમ એક પછી એક રહસ્યો પરથી પડદા ઉઠતા જાય છે અને ચહેરાઓ સામે આવતા જાય છે. જસ્ટીન,જેસિકા,ટોની,ટાયલર,મિસિસ બેકર જેવાં અનેક પાત્રો હેનાહની આત્મહત્યા પાછળનાં એવાં ચહેરાઓ છે જે વારાફરતી એકબીજાની આસપાસ ઘૂંટાયા રાખે છે. ક્લે જેન્સન નામનો નવયુવાન આ બધી ટેપને સાંભળે છે.આખી વાર્તાને જેન્સનનાં દ્રષ્ટિકોણથી બતાવવામાં આવી છે. આપણી ભાષામાં કહીએ તો ક્લે જેન્સન સીરિઝનો સૂત્રધાર છે.
અમેરિકન ટીવી સીરિઝ કોઈ હોલિવુડ ફિલ્મથી કમ નથી હોતી. દર્શકોને જકડી રાખવા માટેના દરેક પ્રયત્નો અહીં કરવામાં આવે છે.એકતા કપૂરની કોઈ સીરિયલની માફક ત્યાં કોઈ પણ શો સતત ચાર-પાંચ વર્ષ ચાલ્યાનાં દાખલા નથી! હા, નવી-નવી સિઝન જરૂર આવતી રહે છે પણ અલગ કન્ટેન્ટ સાથે.
આત્મહત્યા જેવા અત્યંત સંવેદનશીલ વિષય પર બનેલી આ ટીવી સીરિઝ વિશે ક્રિટીકસ કહે છે કે આનાથી વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા માટેનો મોટિવ (હેતુ) મળશે. તો સામે પક્ષે,લોકો એવું પણ કહેતાં સાંભળવા મળે છે કે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીઓ હવે વધુ બે વખત વિચાર કરશે! હકીકત તો એ છે કે આ શૉનાં લીધે હજારો યંગસ્ટર્સને પોતાની જવાબદારીઓનું ભાન થયું છે.આત્મહત્યા પછીની આફટર ઈફેકટને તેઓ વધુ ગંભીરતાથી સમજતાં થયા છે.
NCRB (નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો) નાં ૨૦૧૫નાં એક રિપોર્ટ મુજબ, ભારતમાં ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન કુલ ૩૯, ૭૭૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.આ પાંચ વર્ષના સમયગાળામાં સૌથી વધુ આત્મહત્યાનો દર ૨૦૧૫માં નોંધવામાં આવેલો. ૨૦૧૫ની સાલમાં કુલ ૮૯૩૪ ભારતીય વિદ્યાર્થીઓએ પોતાની જાન લીધી હતી.જેમાંના ૧૨૩૦ જેટલાં કેસ તો એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા હતાં.જોવા જઈએ તો શું નથી આપણી પેઢી પાસે? આપણા બાપ-દાદાઓએ જેટલી કાળી મજૂરી ભૂતકાળમાં એમની યુવાનીમાં કરી છે, એમાંનું એક ટકા પણ આપણે નથી કર્યુ.આપણે તો ફક્ત સોશિયલ મીડિયાનાં ચોકીદાર બની ગયા છીએ. બીજાનાં જીવનમાં ડોકિયું કરવા જતાં આપણી પોતાની જિંદગી ક્યારે લૂંટાઈ ગઈ એ જ આપણને ખબર નથી.ધીરજ જેવો કોઈ શબ્દ કદાચ ભગવાન આપણી ડિક્ષનરીમાં મૂકવાનું જ ભૂલી ગયો છે.
કોઈ દિવસ તમે લેપટોપ પર કોઈક ફિલ્મ કે વીડિયો ડાઉનલોડ કર્યો હશે, તો તમને ખ્યાલ હશે કે ડાઉનલોડનો ઑપ્શન સિલેકટ કરતાં પહેલા આપણી સામે બે વિકલ્પો ખુલ્લા મૂકવામાં આવે છે. સ્લો ડાઉનલોડ અને ફાસ્ટ ડાઉનલોડ! સ્લો ડાઉનલોડ આરામથી બે-અઢી કલાક પછી પૂરું થાય છે જયારે ફાસ્ટ ડાઉનલોડનાં વિકલ્પમાં ઘણી જ લોભામણી જાળ બિછાયેલી હોય છે. બે મિનિટમાં થનાર એ ‘ફાસ્ટ’ ડાઉનલોડને પૂરું થતાં ક્યારેક બે કલાક પણ લાગે છે.છતાંય ધૈર્યનો અભાવ ધરાવતી આપણી પેઢી ફાસ્ટ ડાઉનલોડ પર જ ક્લિક કરશે. અહીં કોઈને સમય નથી. બધાને બધુ જલ્દીથી જોઈએ છે.કોઈ વસ્તુ કે કરિયર માટે દિલોજાનથી મહેનત કરવાની ધગશ હવે આપણામાં નથી રહી એનું કારણ કદાચ એક જ છે… આપણને વારસામાં મળેલી આરામદાયક જિંદગી! અને આવી આરામદાયક જિંદગીમાં જયારે નાના-મોટા ગાબડાં પડે છે ત્યારે માણસ માનસિક રીતે ભાંગી પડે છે. પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત ખોઈ બેસે છે કેમ કે મુશ્કેલી સામે ઝઝૂમવાનું તો તેને શીખવવામાં જ નથી આવ્યું. વ્યકિતને પોતાનું જીવન નિરર્થક લાગવા માંડે છે. વીતતાં જતાં દિવસો જિંદગીનાં બચેલા વર્ષોમાંથી બાદ થતા જાય છે. અને આખરે કંટાળીને વ્યકિત કયો રસ્તો પસંદ કરે છે.. આત્મહત્યાનો!
ફેબ્રુઆરી, ૨૦૧૭માં રશિયામાં બનેલો એક કિસ્સો અહી ખાસ ટાંકવા જેવો છે. ‘બ્લુ વ્હેલ’ ગેમ થકી મચેલો હોબાળો તો યાદ જ હશે! ભારતમાં કંઈ-કેટલીય જાન જેના લીધે ગઈ એ ગેમની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ એ વાત જાણવા જેવી છે. ૧૬ વર્ષીય વેરોનિકા વોલકોવા અને ૧૫ વર્ષીય યૂલિયા કોસ્ટનટીનોવા નામની ટીનેજર્સએ આત્મહત્યા કરી.કેસની પોલીસ તપાસમાં માલુમ પડયું કે બંને છોકરીઓ બ્લુ વ્હેલ નામની એક સોશિયલ મીડિયાગેમની ચાહક હતી.આ ગેમને લીધે રશિયાનાં કુલ ૧૩૦ જેટલાં યુવક યુવતીઓએ નિરાશામાં સરી જઈને આત્મહત્યા કરી હોવાનાં બનાવો નોંધાયા.જેમાંના લગભગ તમામ ટીનેજર એક જ પ્રકારનાં ઈન્ટરનેટ ગ્રુપનાં સભ્ય હતા અને તેઓ ખૂબ સારું કુટુંબ તથા સામાજિક જીવન ધરાવતાં હતાં.
ત્યાંની લોકલ પોલીસે ફિલીપ બુડેકિન નામનાં ૨૧ વર્ષીય યુવાનને ગિરફતાર કર્યો. તેના પર સ્યુસાઈડને પ્રમોટ કરનારા આવા કુલ ૮ ગ્રુપ ચલાવવાનો આરોપ છે. ફિલીપે ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન કુલ ૨૦ ટીનેજરોને પોતાની જાળમાં ફસાવ્યા હતા,જેમાંના ૧૫ મરી ગયા અને ૫ને બચાવી લેવાયા.
ગ્રુપનાં હેન્ડલર (સંચાલક)નો ફંડા કિલયર હોય હતો, દહેશત! ટીનેજર્સમાં તેમના જીવન અંગે સતત નેગેટિવિટી સપ્લાય કરવી એ જ તેમનું કામ હતું.સોશિયલ મીડિયા પર તેમને ચાર વસ્તુથી વાકેફ કરાવવામાં આવતાં હતાં. જિંદગીની ઉત્તમ ચાર વસ્તુઓ અંગ્રેજી લેટર ‘S’ (એસ) થી શરૂ થાય છે. સેમિયા (કુટુંબ), સેટર-ડે (શનિવાર), સેકસ અને સ્યુસાઈડ! જો તમારી પાસે ઉત્તમ પરિવાર હોય,રજાઓ ગાળવા માટે શનિવાર હોય, સેકસી પાર્ટનર હોય તો જીંદગીનો અંત પણ ઉત્તેજનાસભર અને આપણા મુજબનો હોવો જરૂરી છે એવું યુવાનોને ધરાર ઠસાવવામાં આવે. બ્લુ વ્હેલ ગેમ સાથે જોડાયાં બાદ, યંગસ્ટર્સને તેમનાં જીવનની નિરર્થકતા સમજાવ્યા બાદ તેમને અલગ-અલગ પ્રકારના જોખમી કાર્યો સોંપવામાં આવતાં હતાં. જેમકે પોતાના હાથ કે પગ પર ચાકુ વડે વ્હેલનું નિશાન કોતરવું કે પછી શરીરનાં વિવિધ ભાગો પરથી લોહી કાઢવું! ગેમ પર એક્ટિવેટ થયાનાં ૫૦ દિવસ સુધીમાં તેમને આત્મહત્યા માટે પૂરી રીતે તૈયાર કરી દેવામાં આવતાં હતાં. છેલ્લા એટલે કે પચાસમાં દિવસે તેમને સૌથી ઊંચામાં ઊંચુ બિલ્ડીંગ શોધીને તેનાં પરથી છલાંગ મારી જીવનનો અંત આણવાનું કહેવામાં આવતું હતું.
જે બાળકો આનો ભોગ બનતાં એમને ગેમ પર નિરાશાનો ભરપૂર ડોઝ સતત આપવામાં આવતો હતો. “આપણે ખુલ્લી જગ્યાઓ માટે બન્યા છીએ, આવા બંધિયાર જગતમાં આપણા માટે હવે કંઈ બચ્યું નથી” જેવા ગીત તથા અનેક પ્રકારનાં હતાશાજનક પ્રશ્નો જેમકે, ‘તારી જિંદગી હજુ આવા કેટલા ખરાબ દિવસોની સાક્ષી બનશે?’ તેમજ ‘આપણે મૃત પેઢીનાં બાળકો છીએ’ જેવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા.એક ક્ષણે વિદ્યાર્થીમાં નકારાત્મક્તાનું પ્રમાણ એટલી હદે વધી જાય છે કે આખરે તે આત્મહત્યા કરી લે અને સતત ૫૦ દિવસ સુધી આપવામાં આવેલી આત્મહત્યાની “ટ્રેનિંગ” અંતે સફળ થતી!
વેરોનિકાએ મરતાં પહેલાં પોતાનાં ફેસબુક પેજ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો, “Sense is lost… End” ઉપરાંત પણ તેણે આવા ઘણાય દુઃખી મેસેજ પોસ્ટ કર્યા હતા જેમકે ‘હું માત્ર એક ભૂત છું’, ‘શું તમે પણ ક્રમશઃ નિરર્થક બની ગયાનું અનુભવી છો?’
યૂલિયા અને વેરોનિકા જેવાં તો કંઈ કેટલાંય યુવાનો ઈન્ટરનેટનાં આ ગ્રુપની માયાજાળમાં ફસાઈને મરી ગયા. મોતને સમજવા મોત આવવી જરૂરી નથી પરંતુ મોતની દહેશત જ કાફી છે.લેકિન આ દહેશતને પણ જ્યારો ડરવાનો વારો આવે ત્યારે વ્યકિત આત્મહત્યા કરવા પ્રેરાય છે. (થર્ટીન રિઝન્સ વ્હાય શૉનાં લેખક નિક શેફએ પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી જ ખુદખુશી કરવી એ જાત માટે કેટલું ખતરનાક પુરવાર થઈ શકે એનો કંપનભર્યો અહેસાસ તેમણે આ ટીવી સીરિઝમાં કરાવ્યો છે. એક સમયે ડિપ્રેશનમાં સરી પડેલી વર્લ્ડ ફેમસ સિંગર સેલેના ગોમેઝ આ શોની એકિઝક્યુટીવ પ્રોડયુસર છે.બધાએ ભેગા મળીને સીરિઝને જીવંત બનાવવામાં કોઈ કસર નથી છોડી.લાધ્ય જ્ઞાનની વહેંચણી જ કદાચ.. બીજું તો શું!
ભારતમાં યંગસ્ટર્સનો સ્યુસાઈડ રેડ હવે ખતરાની ઘંટડી નહીં પણ મોટા ડંકા સમાન છે. આત્મહત્યાનાં મામલે વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવનારા ભારતમાં આત્મહત્યા કરનારા દર પાંચમાંથી ત્રણ વ્યક્તિની ઉમર ૩૦થી નીચેની છે.દર વર્ષે વિશ્વનાં અંદાજે ૮ લાખ લોકો પોતાની જાન લે છે. તેમાંના લગભગ દોઢ લાખ (સત્તર ટકા) લોકો તો ભારતનાં જ છે! ઘણાં-બધાં ફાઉન્ડેશન અને નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન જનજાગૃતિ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.દીપિકા પદુકોણનું ‘લીવ લવ લાફ ફાઉન્ડેશન’ પણ એમાંનું એક છે.જેના હેઠળ ઘણા વ્યક્તિઓને આત્મહત્યા કરતા અટકાવાયા છે.મુંબઈ,દિલ્હી,કોલકાત્તા,બેંગલોર જેવાં શહેરો તો દેશની આર્થિક રાજધાની કહેવાય છે.પરંતુ આ જ શહેરોનાં ગર્ભમાં ઘણાં યુવાનોનું ગળું ભીંસાઈ જાય છે. લાઈકસ મેળવવાનાં ચકકરમાં આપણે ક્યાંક સાચુક્લાં લોકોને લાઈક કરવાનું તો ભૂલી નથી ગયા ને? એકબીજાને ધકકો મારીને રેસમાં આગળ થનારા માણસોમાં ક્યાંક આપણું નામ પણ ઉમેરાઈ તો નથી ગયું ને!! મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે.


