ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ દરમિયાન ભાજપે ટીકિટ નહીં આપતાં વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાં ચૂંટણી લડતાં ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મીડિયા સામે મોટો ધડાકો કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, કરણી સેના,શિવ સેના અને AAPના સાથથી હું આ ચૂંટણી જીતી લઈશ.મારી ટિકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે.મને મારા બજરંગ બલી ભગવાન પર ભરોસો છે.
મને આમ આદમી પાર્ટીનો સપોર્ટ મળી રહ્યો છે – મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મેં કોઈને હેરાન કર્યા નથી.વેપારીઓ અને દુકાનદારોને સતત સપોર્ટ કર્યો છે એટલે બધા મને સપોર્ટ કરે છે.મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટી,કરણી સેના અને શિવ સેના છે.અમે બધા ભેગા મળીને આ બેઠક જીતી રહ્યા છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી.મેં ચૂંટણી પરિણામ સહિતનું બધુ બજરંગ બલી પર રાખ્યું છે.મારી ટિકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે.મને મારા બજરંગ બલી ભગવાન પર ભરોસો છે.
ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી
વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામે મતદાન કર્યું હતું.ભાજપે ટિકિટ નહીં આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.હવે આજે મતદાન કર્યા બાદ મધુ શ્રીવાસ્તવે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું.કૌભાંડ ઝડપવાથી મારી ટિકિટ કાપવામાં આવી.ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાવું કે નહીં તે અંગે કાર્યકરો નિર્ણય કરશે.
ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓને ચીમકી આપી છે.ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ,નાના અધિકારીની પણ કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં તેમ કહી રહ્યા છે.આ ઉપરાંત તેમણે ડભોઇ બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો.જેમાં કહ્યું ડભોઇના ધારાસભ્ય પહેલી વખત ચૂંટાયા હતા અને પાંચ વર્ષ સુધી પૂનમ ભરવી પડી હતી.


