અમદાવાદ : સોશિયલ મીડિયા પર પ્રેમ થયા બાદ સગીરા ભાગવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે 12 સાયન્સમાં ટોપર રહેલી 17 વર્ષીય સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફતે પંજાબ-પાકિસ્તાન બોર્ડરથી 3 કિ.મી.દૂર આવેલા ગામના યુવક સાથે પ્રેમ થયો હતો.યુવકે સગીરાની એર ટિકિટ મોકલતા તે માર્ચ મહિનામાં ભાગી પંજાબ બોર્ડર સુધી પહોંચી ગઇ હતી અને ત્યાં પ્રેમી સાથે રહેવા લાગી હતી.
આ મામલે હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ રિટ થયા બાદ મેઘાણીનગર પોલીસ પાકિસ્તાન બોર્ડર નજીકના ગામમાં ઓપરેશન હાથ ધરી સગીરાને શોધી લાવી હતી.ઉપરાંત આરોપી યુવક અને તેની મદદ કરનાર તેના પિતાની પણ પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે.મેઘાણીનગર વિસ્તારમાં રહેતી સગીરા ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફતે રોહિત નામના યુવક સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ બન્નેને પ્રેમ થઇ ગયો હતો.બે વર્ષ સુધી તો તેઓ ક્યારેય મળ્યા ન હતા.પરંતુ માર્ચ મહિનામાં રોહિતે સગીરાને પોતાના પાસે બોલાવી હતી.
ત્યારે રોહિતે સગીરાને એર દિલ્હીની એર ટિકિટ મોકલી આપી હતી.જેથી સગીરા ઘર છોડી ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચી હતી.જ્યાં રોહિત તેને લેવા પહોંચી ગયો હતો.બાદમાં બન્ને દિલ્હી થઈ પાકિસ્તાનથી 4 કિલોમીટર દૂર એવા પંજાબના ફઝિલ્કા જિલ્લાના લમચોર ગામમાં પહોંચ્યા હતા.બીજી તરફ,સગીરા ગુમ થયા બાદ આ મામલે પોલીસ ફરિયાદ પરિવારે નોંધાવી હતી.
જેથી પોલીસે બે વાર પંજાબ ગઇ પરંતુ તેઓને સફળતા મળી ન હતી.જેના કારણે કંટાળી પિતાએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રિટ દાખલ કરી હતી.જેમાં હાઇકોર્ટે સગીરાને શોધી લાવવા આદેશ કર્યો હતો.આ દરમિયાન પોલીસ વધુ એક વખત કાફલા અને ઉચ્ચ અધિકારીઓ સાથે લમચોર ગામમાં પહોંચી ઓપરેશન હાથ ધર્યું હતું.ત્યારે પોલીસને સફળતા મળી હતી.પોલીસ સગીરા,રોહિત અને તેના પિતાને અમદાવાદ લઇ આવી હતી.આ મામલે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ રોહિત અને તેના પિતા સામે કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા છે.સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે કે નહીં તેની મેડિકલ તપાસ પણ થઇ રહી છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ બળાત્કાર ગુજારવામાં આવ્યો હશે તો તે કલમનો ઉમેરો પણ પોલીસ કરશે.