બારડોલી : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓ તોફાની બની છે.ત્યારે બારડોલીની મીંઢોળા નદી પણ બે કાંઠે વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.મંગળવારે સાંજથી જ જળસપાટી વધતા અસરગ્રસ્તો પોતાની ઘરવખરી અને સામાન લઈને સુરક્ષિત સ્થાને જવાની ફરજ પડી હતી.વહીવટી તંત્ર દ્વારા પહેલાથી એલર્ટ જારી કરી દેવામાં આવતા મોટા ભાગના લોકો સુરક્ષિત સ્થાને ખસી જતાં મોટું નુકસાન થતું અટક્યું હતું.
સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનગઢ તાલુકામાં મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધી હતી. હાલમાં ડોસવાડા ડેમમાંથી 1380 ક્યુસેક પાણી આવી રહ્યું છે.આથી મંગળવાર સાંજથી બારડોલીમાં મીંઢોળા નદીની જળસપાટી વધતાં નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી.તલાવડી અને રામજી મંદિર વચ્ચે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઝૂપડાઓ પાણીમાં ડૂબી જતાં ત્યાં રહેતા લોકો સુરક્ષતિ સ્થાને ખસી ગયા હતા.
મોડી રાત્રે જળ સપાટીમાં વધારો થતાં અસરગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા હતા.તલાવડી મેદાન નજીકથી 15 અને કોર્ટની સામેની વસાહતમાં 12 મળી અંદાજિત 27 જેટલા પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.મોટાભાગના લોકો સ્વયંભૂ જ પોતપોતાના સંબંધીને ત્યાં અથવા ઊંચાઈવાળી જગ્યાએ ખસી ગયા હતા.સલામતીના ભાગરૂપે પાલિકા દ્વારા મીંઢોળા નદી પરનો લો લેવલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.જેના પર રાત્રે 2 વાગ્યે પાણી ફરી વળ્યાં હતા.મળસ્કે પાણી ઓસરી ગયા હતા.છતાં સુરક્ષાના હિસાબે હજી પણ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રખાયો છે.