અમદાવાદ, તા. 14 : રોજના અંદાજે 4 હજાર જેટલા કચ્છના નાગરીકો મુંબઇ-કચ્છ વચ્ચે અવરજવર કરી રહ્યા છે ત્યારે તેમના માટે રાહત થઇ શકે એવી વાત બની છે.કચ્છી માડુઓને દરિયાઇ માર્ગે મુંબઇથી કચ્છ લઇ જવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ કરી છે અને મુંબઇથી મુંદ્રા સહિત મુંબઇથી ગુજરાતમાં ત્રણ દરિયાઇ સેવા શરૂ કરવા કેન્દ્ર સરકાર સક્રિય બની છે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગઇકાલે ભાવનગરમાં યોજાયેલા વાર્તાલાપમાં કેન્દ્રના શિપિંગ,કેમિકલ્સ અને જળ પરિવહન મંત્રાલયના રાજય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ભાવનગરનો રોડ કનેકટીવીટીનો પ્રશ્ર્ન હલ થાય એ વિશેના પ્રયત્નો ચાલુ છે.આ ઉપરાંત ભાવનગરથી મૂળ દ્વારકા,મુંબઇ-મુંદ્રા,મુંબઇ-હજીરા અને મુંબઇ-સુરત વચ્ચે સી-કનેકટીવીટી શરૂ થાય એ માટે પ્રયત્નો ચાલુ છે.આના કારણે કોસ્ટલ કાર્ગોનું પ્રમાણ વધશે અને ભાવનગરનું સમગ્ર દેશ સાથેનું અને એમાંય દક્ષિણ ભારત સાથેનું પરિવહન સરળ અને ઝડપી બનશે.
મુંબઇથી રો-પેકસ કે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા માટે શરૂ કરેલા આયોજન વિશે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે ‘મુંબઇ-મુંદ્રા સહિતની સી કનેકટીવીટી શરૂ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરી રહ્યા છીએ.સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ભારત વચ્ચે રો-પેકસ કે રો-રો ફેરી સર્વિસ ચાલુ કરી શકાશે. પીપાવાવમાં પણ શરૂ કરી રહ્યા છીએ.જેમને આ ચલાવવામાં રૂચિ હશે તેને જાણ કરવામાં આવશે.
મુંબઇ-મુંદ્રા વચ્ચે સી-કનેકટીવીટીને આવકારતા ધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,કચ્છના પ્રમુખ રાજેશ ભટ્ટે કહ્યું હતું કે ‘મુંબઇથી કચ્છ વચ્ચે રોજના 3 થી 4 હજાર નાગરિકો અવરજવર કરે છે.બાય રોડ તમે મુંદ્રાથી મુંબઇ જાઓ તો આશરે 900 કિલોમીટર જેટલું અંતર છે અને લગભગ 17 કલાક જેટલો સમય પહોંચતા થાય છે.જો મુંબઇ-મુંદ્રા વચ્ચે સી-કનેકટીવીટી શરૂ થશે તો આ સમય ઘટી જશે અને અંદાજે સાતથી આઠ કલાકમાં મુંદ્રાથી મુંબઇ પહોંચી જવાશે.ખાસ વાત એ છે કે મુન્દ્રા કચ્છના સેન્ટરમાં છે એટલે ભુજ,ગાંધીધામ,માંડવી સહિત કચ્છના નાગરીકો માટે આ ઉપયોગી સેવા થશે.જો મુંબઇ-મુંદ્રા વચ્ચે સી-કનેકટીવીટી શરૂ થશે તો એનો મોટો ફાયદો નાગરીકોને અને ઇન્ડસ્ટ્રીવાળાઓને થશે.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કિરીટ સોનીએ કહ્યું હતું કે ‘હાલમાં ઘોઘા-હજીરા વચ્ચે રો-પેકસ સર્વિસ ચાલે છે.એવી જ રીતે દરિયાઇ રૂટને ડોમેસ્ટીકમાં ઉપયોગમાં લેવો એવી વિચારણા થઇ છે. વોટર રિસોર્સિસનો ઉપયોગ થવાથી ખુબ સારી તકો ઉભી થશે.મુંબઇ-મુંદ્રા સહિતનાં સ્થળોએ સી-કનેકટીવીટી શરૂ થશે.મુંબઇમાં જેટીનું કામ ચાલુ છે.સી-કનેકટીવીટીથી લોજિસ્ટીક કોસ્ટ ઘણી નીચે આવશે.સી-ફેર ઓછું હોય છે.સેફટી હોય છે અને રોડ પરનું ભારણ ઘટશે. સી-કનેકટીવીટીથી ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વિકાસની નવી ક્ષિતિજ ખૂલશે.


