મુંબઈ, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે મંગળવારે ઓરેન્જ એલર્ટ અને બુધવારે યેલો એલર્ટ જાહેર કર્યું તે સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય તટીય ક્ષેત્રોનું મહત્તમ તાપમાન એક નવી ઉંચાઈએ પહોંચ્યું છે.સોમવારે સામાન્ય કરતાં 8 ડિગ્રી વધારે 39.4 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણ ખરાબ રહેવાની સંભાવના છે અને રાતનું તાપમાન પણ 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે.
શું છે હીટવેવ?
તાપમાનમાં વૃદ્ધિ અને મેદાની ક્ષેત્રોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી,પહાડી ક્ષેત્રોમાં 30 ડિગ્રી અને તટીય ક્ષેત્રોમાં 37 ડિગ્રીથી વધારે નોંધાય તો એક ક્ષેત્ર હીટવેવના પ્રભાવમાં હોવાનું માનવામાં આવે છે.
મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં 4.5થી 6 ડિગ્રી વધારે હોય તો IMD દ્વારા હીટવેવ જાહેર કરવામાં આવે છે.જ્યારે કોઈ ક્ષેત્ર 45-47 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન નોંધે તો હીટવેવ જાહેર કરવામાં આવે છે.
શા માટે અમુક ક્ષેત્રોમાં હીટવેવનો અનુભવ થાય છે?
IMDના મતે જો ઉત્તર પશ્ચિમી ભારતથી ગરમ અને શુષ્ક પવન ફુંકાય તો આકાશ સાફ રહે છે અને ભેજ ઓછો હોય તો પારો વધી જાય છે અને તેના પરિણામસ્વરૂપ કેટલાક દિવસો માટે ગંભીર હીટવેવ અને હીટવેવનું સ્તર બની રહે છે.
સૌર વિકિરણમાં વૃદ્ધિ તથા મધ્ય અને પશ્ચિમી ભારતના કેટલાક ક્ષેત્રો પર એક ઉચ્ચ દબાણ ક્ષેત્રની રચનાના કારણે પણ પારો ઉંચો જાય છે.
મુંબઈમાં લૂનું કારણ
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં હીટવેવનું કારણ આ ક્ષેત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રોમાં પ્રચલિત હીટવેવના પ્રત્યક્ષ પ્રભાવમાં આવે છે.
ક્ષેત્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર,મુંબઈના એક અધિકારીએ જણાવ્યું કે,ઉત્તર પશ્ચિમ ભારતથી ગરમ અને શુષ્ક હવા કોંકણના કેટલાક હિસ્સાઓમાં પહોંચી રહી છે.તે સિવાય મહારાષ્ટ્ર તટની સાથે સમુદ્રી હવાની ધીમી ગતિ અને સમગ્ર સ્પષ્ટ આકાશની સ્થિતિના પરિણામસ્વરૂપ આવી ગરમીની સ્થિતિઓ સર્જાઈ છે.
અધિકારીઓએ તાપમાનમાં અચાનક વૃદ્ધિ માટે સૌર વિકિરણની વધી રહેલી તીવ્રતાને પણ જવાબદાર ગણાવી છે જે વર્ષના આ સમય દરમિયાન ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો માટે સામાન્ય છે.ત્રીજી માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં અનેક વખત હીટવેવ નોંધાયા છે.12 અને 13 માર્ચના રોજ તેના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 17થી 20મી માર્ચ દરમિયાન તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે.
શું હીટસ્ટ્રોક ઘાતક બની શકે?
હીટવેવની સ્થિતિના પગલે BMCએ નાગરિકોને સુરક્ષિત અને હાઈડ્રેટ રહેવા તથા બપોરના સમયે બહાર નીકળવાથી બચવા માટે અપીલ કરી છે.હીટસ્ટ્રોકથી પીડિત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. ઉપરાંત લોકોને પાણી અને અન્ય સ્વાસ્થ્યપ્રદ તરલ પદાર્થોનું સેવન વધારવા માટે કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત લોકોને બપોરના 12:00થી 3:00 વાગ્યા દરમિયાન તડકામાં બહાર નીકળવાથી બચવા કહેવામાં આવ્યું છે અને બપોરના સમયે બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા સૂચન આપવામાં આવ્યું છે.
સાથે જ BMC દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે,જો કોઈ વ્યક્તિ સનસ્ટ્રોકથી પીડિત હોય તો તેને છાંયડા નીચે ઠંડી જગ્યાએ સુવડાવવી જોઈએ.શરીરને વારંવાર ધોવું જોઈએ અથવા ભીના કપડાંથી લુછવું જોઈએ અને માથા પર સામાન્ય તાપમાનવાળું પાણી રેડવું જોઈએ. વ્યક્તિને તરત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે લઈ જવી જોઈએ.હીટ સ્ટ્રોક ઘાતક બની શકે છે માટે પીડિત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી જોઈએ.