મુંબઈ : સન્ડે સ્ટ્રીટ્સ પહેલની સફળતા બાદ મુંબઈ પોલીસ રવિવારે શહેરમાં પસંદગીના વિસ્તારોમાં કાર-મુક્ત ઝોન રચવાની શક્યતા પર વિચાર કરી રહી છે એવી માહિતી પોલીસ કમિશનર સંજય પાંડેએ પોતાના સોશિયલ મીડિયા મંચ પર આપી હતી.એના મુજબ નિર્ધારીત વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓ સિવાય એક દિવસ માટે કોઈપણ કારને પ્રવેશવાની મંજૂરી નહિ મળે.આ વિસ્તારમાં આવતા મુલાકાતીઓએ પગપાળા અથવા સાઈકલ પર આવવાનું રહેશે.જો કે આ બાબતે હજી કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવાયો.તેમણે ઉમેર્યું કે રવિવારે યોજાયેલી બાઈસિકલ રેલીનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.
પાંડેએ વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં લગભગ બેથી ત્રણ હજાર સાઈકલચાલકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં બાન્દ્રા-વરલી સી લિન્ક પર જ્યાં સામાન્યપણે દ્વિચક્રી વાહનોને મંજૂરી નથી ત્યાં સાઈકલ ચાલકોને વિશેષ પરવાનગી આપવામાં આવી હતી.આવો જ કાર્યક્રમ ફરી પણ યોજાઈ શકે એવો સંકેત પણ પાંડેએ આપ્યો હતો.સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓને સંબોધતા પાંડેએ જણાવ્યું કે મરીન ડ્રાઈવ સ્થિત વરિષ્ઠ નાગરિકો તરફથી તેમને ફરિયાદ મળી હતી કે અગાઉ નક્કી થયા મુજબ પોલીસ ચેકિંગ માટે તેમના ઘરની મુલાકાત નથી લઈ રહ્યા.પાંડેએ જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુરક્ષાની જરૃર હોય છે.પોલીસ વિભાગે પોતાના કાર્યક્ષેત્રમાં રહેતા વરિષ્ઠ નાગરિકોની યાદી બનાવવી જોઈએ અને બીટ માર્શલોએ તેમની નિયમિત મુલાકાત લેવી જોઈએ.ઈન્સ્પેકટરોએ દર અઠવાડિયે બીટ માર્શલોની મુલાકાતની સમીક્ષા કરવી જોઈએ.આ પ્રથા મારી નિવૃત્તિ પછી પણ ચાલુ રહેવી જોઈએ એવી સલાહ પાંડેએ પોલીસ કર્મીઓને આપી હતી.
પોલીસો ફરિયાદીઓ સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાની ફરિયાદ વિશે પાંડેએ ફરી જણાવ્યું કે પોલીસોએ ફરિયાદીની સરભરા મહેમાન તરીકે કરવી જોઈએ અને ફરિયાદ કરવા આવનારને પહેલા પાણી આપવું જોઈએ.પોલીસ વડાએ એવી પણ ખાતરી આપી કે ફ્લેટ વેચાણ માટે એનઓસી માટે વધુ રકમ માગનાર સામે બળજબરીથી વસુલીનો કેસ નોંધવામાં આવશે.