મુંબઈમાં ફરી એક વખત સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાશે

HM News
2 Min Read

– ફોન પર આવી ધમકી આપનારો શખ્સ મલાડની પઠાણવાડીમાંથી ઝડપાયો : દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ ઘટના બે મહિનામાં મુંબઈમાં બનશે એવું પણ કહ્યું

મુંબઈમાં ૧૯૯૩માં જેવા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાયા હતા એવા બૉમ્બબ્લાસ્ટ અને રમખાણો ફરી કરાશે એવો ધમકીભર્યો ફોન શનિવારે સાંજે ૭.૨૭ વાગ્યે મુંબઈ પોલીસ કન્ટ્રોલને આવ્યો હતો.આ બાબતને તરત જ ગંભીરતાથી લઈને ઍન્ટિ-ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ની બે ટીમ બનાવી તપાસ કરીને આખરે એ ફોન કરનાર પંચાવન વર્ષના નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન લાલાને મલાડની પઠાણવાડીમાંથી ઝડપી લીધો હતો.તેણે એ ધમકી આપતી વખતે એમ પણ કહ્યું હતું કે આ બ્લાસ્ટ કરાવવા પાછળ કૉન્ગ્રેસના એક ભૂતપૂર્વ વિધાનસભ્યનો હાથ છે.એટીએસ તેની પૂછપરછ કરી રહી છે.એ ધમકી આપનારે એમ કહ્યું હતું કે મુંબઈના માહિમ,નાગપાડા,ભીંડીબજાર,મદનપુરામાં આ બૉમ્બબ્લાસ્ટ કરવામાં આવશે.એટલું જ નહીં, ૧૯૯૩ના બ્લાસ્ટ પછી જે રીતે રમખાણો થયાં હતાં એ પણ થશે અને એ માટે બહારગામથી લોકો આવ્યા છે.તેણે એમ પણ કહ્યું હતું કે જે રીતે દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો એવી જ ઘટના આવતા બે મહિનામાં મુંબઈમાં પણ બનશે.

કેજીએન લાલાની પૂછપરછમાં તેણે જ એ ફોન કર્યો હોવાનું કબૂલ્યું હતું.તેની સામે મુંબઈનાં વિવિધિ પોલીસ સ્ટેશનોમાં લૂંટ,ચોરી,વિનયભંગ અને અતિક્રમણ જેવા ગુના નોંધાયેલા છે.તેને ૨૦૨૧માં મલાડમાંથી તડીપાર પણ કરાયો હતો.હાલ આ ધમકી આપવા સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *