મુકેશ અંબાણી ફેમિલીએ રિલાયન્સમાં હિસ્સો વધાર્યો

HM News
2 Min Read

હવે શ્રીચક્ર કોમર્શિયલ્સ એલએલપી સૌથી મોટી સિંગલ શેરધારક રહેશે. તેનો હિસ્સો રિલાયન્સમાં 11.17 ટકા રહેશે
એજન્સી > નવી દિલ્હી

બિલિયોનેર મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, અને ત્રણ સંતાનોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)માં વ્યક્તિગત રીતે હિસ્સો વધાર્યો છે. તેમણે પ્રમોટર ગ્રુપની અન્ય એન્ટિટી પાસેથી શેર ખરીદ્યા છે. આથી પ્રમોટર ગ્રુપ શેરહોલ્ડિંગ 47.45 ટકા યથાવત્ રહ્યું છે. રિલાયન્સના પ્રમોટર ગ્રુપની કંપની દેવર્ષી કોમર્શિયલ્સ એલએલપીએ RILમાં તેના શેર અંબાણી ફેમિલીને તથા અન્ય પ્રમોટર ગ્રુપ કંપનીઓ તત્વમ એન્ટરપ્રાઈસીસ એલએલપી અને સમરજિત એન્ટરપ્રાઈસીસ એલએલપીને વેચી દીધો છે. આ ટ્રાન્ઝેક્શન પછી દેવર્ષી કોમર્શિયલ્સ એલએલપીનો રિલાયન્સમાં હિસ્સો 11.21 ટકાથી ઘટીને 8.01 ટકા થયો છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સમાં 0.12 ટકા હિસ્સો વધારીને તેમનું હોલ્ડિંગ 75 લાખ શેરનું કરી દીધું છે. તેમની પાસે વ્યક્તિગત રીતે અત્યાર સુધી 72.31 લાખ શેર(0.11 ટકા) હતા. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ પણ તેમનો હિસ્સો 67.96 લાખ શેરથી વધારીને 75 લાખ શેરનો કરી દીધો છે. ટ્વીન્સ આકાશ અને ઈશા અંબાણી વ્યક્તિગત રીતે રિલાયન્સના 67.2 લાખ શેર ધરાવતા હતા. તેમનો હિસ્સો વધીને 75 લાખ શેર થઈ ગયો છે. ત્રણ સંતાનોમાં સૌથી નાના અનંત અંબાણી પાસે વ્યક્તિગત રીતે માત્ર 2 લાખ શેર હતા, જેમનો હિસ્સો હવે વધીને 75 લાખ શેર થઈ ગયો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર તત્વમ એન્ટરપ્રાઈસીસનું હોલ્ડિંગ 6.81 ટકાથી વધીને 8.01 ટકા થશે, જ્યારે સમરજિત એન્ટરપ્રાઈસીસ માત્ર 200 શેરમાંથી હિસ્સો વધારીને 1.83 ટકા થઈ જશે. પ્રમોટર ગ્રુપની કંપનીઓમાં દેવર્ષી કોમર્શિયલ્સ સૌથી મોટી સિંગલ શેરહોલ્ડર હતી. હવે શ્રીચક્ર કોમર્શિયલ્સ એલએલપી સૌથી મોટી સિંગલ શેરધારક રહેશે. તેનો હિસ્સો રિલાયન્સમાં 11.17 ટકા રહેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *