નવી દિલ્હી,
કોરોના અને લોકડાઉનને પગલે અનેક ઉદ્યોગોને અસર થઈ છે ત્યારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના મોટાભાગના કર્મચારીઓના પગારમાં 10થી 50 ટકા સુધીનો કાપ મૂકી દીધો છે.કંપનીના ચેરમેન અને દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી તેમનું સંપૂર્ણ વેતન જતું કરશે. રિલાયન્સે આ સાથે વાર્ષિક કેશ બોનસ અને પરફોર્મન્સ લિન્ક્ડ ઈન્સેન્ટિવ્ઝ પણ મૂલતવી રાખી દીધા છે,જે સામાન્ય રીતે પ્રથમ ક્વાર્ટરમાં ચૂકવાતા હોય છે.
કોરોના વાયરસ અને તેને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વ્યાપાર-ધંધા ઠપ છે.રિલાયન્સના હાઈડ્રોકાર્બન બિઝનેસને વિપરીત અસર થઈ છે અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સ અને પેટ્રોકેમિકલ્સની માંગ પણ ઘટી ગઈ છે.કંપનીના વિવિધ વર્ટિકલ હેડ તરફથી તેમના કર્મચારીઓને પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમાં પગારમાં ઘટાડાના નિર્ણયની જાણ કરવામાં આવી છે.આ માહિતી અનુસાર હાઈડ્રોકાર્બન બિઝનેસ પર દબાણ વધ્યું છે અને તમામ મોરચે ખર્ચ ઘટાડવાનું જરૂરી બની ગયું છે.વર્તમાન સ્થિતિની એવી માંગ છે કે કંપનીએ ઓપરેટિંગ ખર્ચ અને ફિક્સ્ડ ખર્ચ પર ફોકસ કરવું પડશે અને કંપનીના તમામ કર્મચારીઓએ તેમાં યોગદાન આપવું પડશે. ચેરમેન મુકેશ અંબાણી તેમનું ~15 કરોડનું સંપૂર્ણ કોમ્પેન્સેશન જતું કરશે, રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ,એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ સહિત) અને સીનિયર લીડર્સ તેમના કોમ્પેન્સેશનના 30-50 ટકા રકમ જતી કરશે.
જે કર્મચારીનું કોમ્પેન્સેશન ~15 લાખથી ઓછું છે તેમના પગારમાં કોઈ કાપ મૂકાયો નથી. તેનાથી વધુ પગાર હોય તેમના ફિક્સ્ડ પેમાં 10 ટકાનો કાપ મુકાશે. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકેશ અંબાણીનું વાર્ષિક કોમ્પેન્સેશન ~15 કરોડ છે. તેમનું કુલ વાર્ષિક વેતન ~24 કરોડ છે, જેમાં 2008-09થી કોઈ જ ફેરફાર કરાયો નથી. કર્મચારીઓને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે “અમે આર્થિક અને બિઝનેસ માહોલ પર બાજનજર રાખી રહ્યા છીએ અને તેનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છે અને એ મુજબ કંપનીના બિઝનેસમાંથી આવકની ક્ષમતા વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. કર્મચારીઓને આ સાથે કહેવાયું છે કે લોકડાઉનમાં રિઓર્ગેનાઈઝ થવાના અને બિઝનેસ પ્રોસેસ ડિજિટલાઈઝ કરવા માટેના અનેક અવસરો પણ મળ્યા છે જેનાથી પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.