ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ છે.આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસ અને ભાજપ કવાયત કરી રહ્યું છે.બંને પક્ષો પોતાના 8 ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્ત્વનું નિવેદન આપ્યુ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી આવેલા 5 પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું કમિટમેન્ટ આપ્યું હતું.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયેલા અને પેટાચૂંટણી લડી રહેલા પાંચ ઉમેદવારોને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નિવેદન આપતા જણાવ્યું હતું કે,જાહેર જીવનમાં પણ કોઈ પણ માણસ પક્ષમાં ગૂંગળાઈ અને પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઈ અને ફરીથી ચૂંટણી લડે એ તેનો અધિકાર છે.હવે તેઓ ફરીથી પ્રજાના પ્રતિનિધિઓ તરીકે પ્રજા પાસે આવ્યા છે. પ્રજા લોકશાહી પદ્ધતિને વરેલી છે.કોઈ કારણોસર સરકાર ખોટી હોય અને 10 ધારાસભ્ય કહે કે,અમે ભાગીદાર નથી બનવા માંગતા અને અમે રાજીનામું આપીએ છીએ અને ફરીવાર ચૂંટણી કરો તો આ એક લોકશાહીનો ભાગ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે કહું છું કે,આ પાંચેયને ટિકિટનું કન્ફર્મેશન આપ્યુ હતું. ટિકિટનું કન્ફર્મેશન આપ્યું હતું, તેનું કારણ એ હતું કે,પાંચ વર્ષ માટે તેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં બહુમતી થાય એટલા માટે નરહરિ અમીનને તેઓ મદદ કરવા માટે આવ્યા છે.તે માટે તેઓ રાજીનામું આપે છે એટલે તેમનો હક બને છે કે, ફરી વખત બાકી રહેલી ટર્મમાં તે પોતે લડવા માગતા હોય તો ચૂંટણી લડે અને ભારતીય જનતા પાર્ટીએ પણ કીધું છે કે,તમારો અધિકાર છે પાંચ વર્ષ સુધીનો.મોરબીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા જીત્યા હતા અને એ બ્રિજેશ મેરજા રાજીનામું આપે છે ત્યારે અમે તેમને કહ્યું કે,અમે તમને ટિકિટ આપીશું,આ તમારો અધિકાર છે.
પરેશ ધાનાણીના ગાંડો ચાલશે ગદ્દાર નહીં તે નિવેદનને લઈને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શું કોંગ્રેસે 8 લોકોને ટિકિટ આપી છે એ ગાંડા છે. કોંગ્રેસ શું કહેવા માંગે છે તે મને સમજાતું નથી.લોકો તો વિચારતા થયા છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યના ગદ્દાર કહે છે, ગાંડો ચાલશે તેમ કહે છે, કાણો ચાલશે તેમ કહે છે.તો પછી આ બધાને મત આપવા કરતાં તમે બધા કોંગ્રેસમાંથી છૂટા થાવ ભાજપને મત આપો.કોંગ્રેસમાં જૂથબંધી ખૂબ જ મોટી છે અને એટલે જ મેં અગાઉ કહ્યું કે, કોંગ્રેસ તૂટવાની છે.એનો મતલબ એ નથી કે,ધારાસભ્યોને ભાજપમાં લેવાના.કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસ ડૂબતી નાવ છે, કોંગ્રેસ તૂટતી જાય છે.ચૂંટણી પછી પણ કોંગ્રેસ તૂટશે.