- ગોવામાં ભાજપના ૩૪ ઉમેદવારોની યાદી જાહેર, ઉત્પલ પર્રિકરનું પત્તુ કપાયું, કેજરીવાલનું પર્રિકરને આપમાં જોડાવા આમંત્રણ
લખનઉ,તા.૨૦ : ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં જ ખરા સમયે ઓબીસી નેતાઓના સમાજવાદી પક્ષમાં જોડાવાથી ભાજપને જે ફટકો પડયો હતો તેવો જ ફટકો હવે સપાને પડી રહ્યો છે.ભાજપે સપાના મેન્ટર મુલાયમ સિંહ યાદવના પરિવારમાં જ ભેલાણ કર્યું છે.મુલાયમની નાની પુત્રવધુ અપર્ણા યાદવ પછી હવે તેમના સાઢુ પ્રમોદ ગુપ્તા ગુરુવારે ભાજપમાં જોડાઈ ગયા હતા.બીજીબાજુ ‘લડકી હું લડ સકતી હું’અભિયાનની પોસ્ટર ગર્લ પ્રિયંકા મૌર્ય જ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસના આ અભિયાનને મોટો ફટકો પડયો છે.ભાજપે ગોવામાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં અપેક્ષા મુજબ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ટિકિટ નથી અપાઈ.
મુલાયમના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા પછી બીજા જ દિવસે ગુપ્તા પણ ભાજપમાં જોડાયા છે ત્યારે ઉ.પ્ર.ના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે અખિલેશ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે,’તે તેના કુટુંબીજનોને પણ એક રાખી શકતો નથી.’૨૦૧૨ની ચૂંટણીમાં બિધૂનાથી સપાના ધારાસભ્ય બનેલા પ્રમોદ ગુપ્તાએ સપાના સર્વેસર્વા બની ગયેલા અખિલેશ યાદવ ઉપર એવો આક્ષેપ કર્યો છે કે,અખિલેશે પિતા મુલાયમસિંહ યાદવને બંધક બનાવી દીધા છે. કોઈને મળવા નથી દેતા અને કોઈ મળવા જાય તો બહારથી જ કહી દે છે કે,’તેઓ સૂઈ ગયા છે,તેમનું સ્વાસ્થ્ય સારું નથી.
બીજીબાજુ ‘લડકી હું લડ સકતી હું’અભિયાનથી ઉત્તર પ્રદેશમાં બેઠી થવા માગતી કોંગ્રેસને આ અભિયાનની પોસ્ટર ગર્લે ફટકો પહોંચાડયો છે.કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના મહત્વાકાંક્ષી ‘લડકી હૂં લડ સકતી હૂં’ અભિયાનની ‘પોસ્ટર ગર્લ’ પ્રિયંકા મૌર્યને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તે ભાજપમાં જોડાઈ ગઈ છે.પ્રિયંકા મૌર્યના આ પગલાંથી કોંગ્રેસની મુંઝવણ વધી ગઈ છે.કારણ કે તેની ‘પોસ્ટર ગર્લ’ સાથે ન રહેતાં મહિલા મતદારોને આકર્ષવામાં મુશ્કેલી પડશે.
ઉત્તર પ્રદેશમાં દલિત નેતા ચંદ્રશેખર આઝાદે તેમના આઝાદ સમાજ પક્ષ (કાંશિરામ) તરફથી ગોરખપુરમાં ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.આ સાથે તેમણે ભાજપ સામે તેમની લડત ચાલુ રહેવાનું જણાવ્યું હતું.વકીલમાંથી એક્ટિવિસ્ટ બનેલા ૩૫ વર્ષીય ચંદ્રશેખર આઝાદે દલિત અધિકારો માટે જય ભીમ સંસ્થાની સ્થાપના કરી છે અને પોતે તેના રાષ્ટ્રીય પ્રમુખ છે.
દરમિયાન ભાજપે અન્ય એક ચૂંટણી રાજ્ય ગોવા માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે,જેમાં દિવંગત સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને પણજીથી ટિકિટ અપાઈ નથી.ભાજપે પહેલી યાદીમાં ૩૪ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.છ બેઠકો પર ઉમેદાવારોના નામ પાછળથી જાહેર કરાશે.ગોવામાં ૪૦ બેઠકો પર ૧૪મી ફેબ્રુઆરીએ મતદાન થશે.ઉત્પલ પર્રિકરને ટિકિટ ન અપાતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર પર્રિકર પરિવાર સાથે ‘યુઝ એન્ડ થ્રો’ની નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો.તેમણે ઉત્પલ પર્રિકરને આપની ટિકિટ પરથી લડવા આમંત્રણ આપ્યું હતું.