મુંબઈ : માનખુર્દમાં દસ મહિના પહેલા મળી આવેલા એક યુવતીના આંશિક રીતે સડી ગયેલા મૃતદેહને ઓળખવાના અનેક નિષ્ફળ પ્રયાસો પછી કેઈએમ હોસ્પિટલે તેમને મૃતકના ચહેરાને પુનઃનિર્માણ કરવામાં સહાય કરતા મુંબઈ પોલીસને થોડી આશા મળી છે.કેઈએમ હોસ્પિટલના આસીસ્ટન્ટ પ્રોફેસર અને ફોરેન્સીક ઓડોન્ટોલોજિસ્ટ ડો.હેમલતા પાંડેએ જણાવ્યું કે અમે આખા શરીરને સ્કેન કરીને મૃતકની વય નક્કી કરવા રેડિયોલોજિકલ ટેકનીકનો ઉપયોગ કર્યો.સ્કેન કરેલી ખોપડી પર અમે ૩ડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચહેરાનું ફોરેન્સીક પુનર્નિર્માણ કર્યું.
પોલીસ હવે શહેરના તમામ સ્ટેશનો પર અને અન્ય વિસ્તારોમાં એલર્ટ મોકલી શકશે જેથી મૃતકના પરિવારજનો તેને ઓળખી શકે અને તેમનો સંપર્ક કરી શકે.પોલીસે આપેલી જાણકારી અનુસાર માનખુર્દમાં ઝાકીર હુસૈન નગર નજીક સ્થાનિકોને મૃતદેહ મળ્યો હતો.તે આંશિક રીતે કોહવાઈ ગયો હતો અને યુવતીની વય ૧૭થી ૨૧ વર્ષ વચ્ચેની માનવામાં આવી હતી.તેની હત્યા થઈ હોવાનું માનવામાં આવ્યું હતું કારણ કે તેના પગ અને ગળું દુપટ્ટાથી બાંધવામાં આવ્યા હતા અને તેના શરીરને પ્લાસ્ટીકની બેગમાં લપેટવામાં આવ્યો હતો.યુવતિએ ચાંદીની ઝાંઝર પહેરી હતી અને તેના પર બીએસ ટ્રેડમાર્ક કોતરેલો હતો.
પોલીસને તેના હાથમાં લાલ રંગની બંગડી અને તેની આંગળી પર મોતી જડેલી ચાંદીની વીંટી પણ મળી હતી.તપાસ દરમ્યાન પોલીસે શહેરમાં બીએસ ટ્રેડમાર્ક સાથેના ચાંદીના ઝાંઝર વેંચતા અનેક જ્વેલર્સ અને દાગીના વિક્રેતાઓને પૂછપરછ કરી હતી.
પોલીસ ઈન્સ્પેકટર રવિન્દ્ર સાળુંખેએ જણાવ્યું કે એક કોલ્હાપુર સ્થિત કંપની બીએસ ટ્રેડ માર્ક સાથેના ચાંદીના ઝાંઝરનું ઉત્પાદન કરતી હતી.અમે કોલ્હાપુર ખાતે કંપનીનો સંપર્ક કર્યો અને માલિકને પૂછપરછ કરી.તેમણે જણાવ્યું કે રાજ્ય અને રાજ્યની બહાર ઘણા વિક્રેતાઓને જથ્થામાં બીએસ ટ્રેડમાર્ક સાથેના ચાંદીના ઝાંઝર વેંચવામાં આવ્યા હતા.ઝાંઝરમાં ક્રમાંક ન હોવાથી ચોક્કસ ખરીદદારને ઓળખવા શક્ય નહોતા અને એથી પોલીસ મૃતકની ઓળખ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
ત્યારબાદ માનખુર્દ પોલીસે અજાણી વ્યક્તિઓ સામે હત્યાનો અને પૂરાવા નષ્ટ કરવાનો કેસ નોંધ્યો અને મહિલા તેમજ આરોપીની ઓળખ કરવા અનેક ટીમ બનાવી.આ કેસ ત્યારબાદ વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૬ ને સોંપવામાં આવ્યો.પોલીસે અનેક શકમંદોની પૂછપરછ કરી,એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને શહેર તેમજ શહેરની બહાર નોંધાયેલા તમામ ખોવાયેલા કેસોની ફેરચકાસણી કરી. પોલીસે ત્યારબાદ મૃતકના ચહેરાની પુનર્રચના કરવા કે.ઈ.એમના ડોકટરોનો સંપર્ક કર્યો.