અમદાવાદ : રમતગમતનાં મેદાનની સુવિધા વગરની શાળાઓનાં બાળકો પણ નારણપુરા સ્પોર્ટસ સંકુલમાં આવીને રમી શકે તે માટે તમામ શાળાઓને જોડવાનુ આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કરતાં જ સ્પોર્ટસ સંકુલનાં ખાતમુર્હતમાં ઉપસ્થિત અસંખ્ય બાળકોએ તાળીઓનાં ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.કેન્દ્ર સરકારનાં રમતગમત અને નાણાં મંત્રાલયની ગ્રાન્ટથી શહેરનાં નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાછળનાં મ્યુનિ.નાં રિઝર્વ પ્લોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં સ્પોર્ટસ કોમ્પ્લેકસનાં ખાતમુર્હત કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે,શહેરની અનેક સ્કૂલો પાસે રમતગમતના મેદાન નથી,કોઇ પહેલા માળે તો કોઇ બીજા માળે ચાલે છે.આવી સ્કૂલોમાં પીટીનાં વર્ગ જ કાઢી નાખવામાં આવ્યા છે.તેના કારણે બાળકો માટી દૂર થઇ ગયાં અને રમત રમતા નથી તો તેમને હારવા-જીતવાની ખબર પડતી નથી,હારશે નહિ તો જીતવાનુ ઝનુન ક્યાંથી પેદા થશે તેવો સવાલ કરતાં અમિતભાઇએ કહ્યું કે,રમતગમત વગરની શાળાઓનાં બાળકો માટે નારણપુરા સ્પોર્ટસ સંકુલ ખુલ્લુ મુકવામાં આવશે,જયાં પીટી દિવસ નક્કી કરી આપવામાં આવશે અને તેના માટે બધી શાળાઓને જોડવાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.