મોંઘવારીનો માર : એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૩નો વધારો

HM News
3 Min Read

નવી દિલ્હી, તા.૧ : મે મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસે વધુ એક વખત મોંઘવારીના મારનો સામનો કરવો પડયો છે.સરકારે હવેથી ૧લી મેના રોજ ઉજ્જવલા દિવસ તરીકે ઊજવણી કરવાની જાહેરાત કરી છે તેવા સમયે જ સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો કર્યો છે.૧લી મેના રોજ એલપીજીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫૦નો વધારો કરાયો છે.જોકે, રાહતની વાત એટલી છે કે આ ભાવવધારાની ગૃહિણીઓના રસોડા પર સીધી અસર નહીં પડે, પરંતુ પરોક્ષ અસરના ભાગરૂપે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ શકે છે.

સરકારી ઓઈલ કંપનીઓએ આજથી ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર રૂ. ૧૦૨.૫૦નો વધારો કર્યો છે. નવા રેટ મુજબ નવી દિલ્હીમાં હવે ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. ૨,૨૫૩થી વધીને રૂ. ૨૩૫૫.૫૦ થઈ ગઈ છે.અન્ય મહાનગરોમાં જોઈએ તો કોલકાતામાં તેની કિંમત પ્રતિ સિલિન્ડર રૂ. ૨૪૫૫, મુંબઈમાં રૂ. ૨૩૦૭, ચેન્નઈમાં રૂ. ૨૫૦૮ થઈ ગઈ છે.બીજીબાજુ પાંચ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૬૫૫ થઈ ગયો છે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ મોટાભાગે હોટેલ, રેસ્ટોરાં, ખાણી-પીણીની લારીઓ, લગ્નો-સમારંભો માટે ભોજન બનાવતા કેટરર્સ દ્વારા થતો હોવાથી આગામી સમયમાં હોટેલ-રેસ્ટોરાં તેમજ ખાણી-પીણીના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વધારો ગયા મહિનાની સરખામણીએ ઓછો છે.૧લી એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૫૦નો વધારો કરાયો હતો જ્યારે ૧લી માર્ચે કિંમતોમાં રૂ. ૧૦૫નો વધારો થયો હતો.છેલ્લા ત્રણ મહિનામાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં રૂ. ૪૫૭.૫૦નો વધારો થયો છે.અગાઉ ઑક્ટોબર ૨૦૨૧થી ફેબુ્રઆરી ૨૦૨૨ વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં રૂ. ૧૭૦નો વધારો કરાયો હતો. જોકે, ઘરેલુ વપરાશ માટેના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો નથી કરાયો. તેની કિંમત પ્રતિ સિલિન્ડર રૂ. ૯૪૯.૫૦ છે જ્યારે કેટલાક સ્થળો પર ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ સુધી પહોંચી ગઈ છે.દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧લી મે ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સમગ્ર દેશમાં ગરીબી રેખા નીચે

આવતા લોકોને ગેસ સિલિન્ડર ઈશ્યુ કરવામાં આવે છે.આ યોજના હેઠળ બીપીએલ કેટેગરીના દરેક પરિવારને એક મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે.આ યોજનાની સફળતાને પગલે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ૧લી મે, ૨૦૨૨થી ‘ઉજ્જવલા દિવસ’ તરીકે ઊજવવાની શરૂઆત કરી છે.ઉજ્જવલા દિવસની ઊજવણીના ભાગરૂપે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સમગ્ર દેશમાં રવિવારે ૫,૦૦૦ એલપીજી પંચાયતનું આયોજન કર્યું હતું. આ આયોજનોમાં લોકોને એલપીજીના સુરક્ષિત અને સતત ઉપયોગ અંગે માહિતી આપવાની સાથે કંપનીઓએ ગ્રાહકોનું એનરોલમેન્ટ વધારવા પર પણ ધ્યાન આપ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *