સુરત : તા 23 મે 2022,સોમવાર : મોટા વરાછાના આકૃતિ હાઇટ્સમાં રહેતા જમીન દલાલે 2 ટકા વ્યાજે લીધેલા 55 લાખ ચુકવી દીધા હોવા છતા 3 ટકા પેનલ્ટી સાથે 1 કરોડની ઉઘરાણી કરી ધાક-ધમકી આપનાર ફાઇનાન્સર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
મોટા વરાછાના આકૃતિ હાઇટ્સમાં રહેતા જમીન દલાલ રાજુ બાલાભાઇ ઇટાલીયા(ઉ.વ.40 મૂળ રહે.વડીયા,તા.પાલીતાણા,જિ.ભાવનગર)એ વર્ષ 2019 માં ધંધાકીય હેતુ માટે માર્ચ 2019 માં મોટા વરાછાના રોયલ સ્કેવરમાં ઓફિસ ધરાવતા ફાઇનાન્સર જગદીશ કાનાભાઇ રાઠોડ ઉર્ફે જે.કે.રાજપૂત પાસેથી 2 ટકા લેખે 55 લાખ રૂપિયા એક મહિનાની મુદ્દતે વ્યાજે લીધા હતા.રાજુએ જુલાઇ 2019 માં વ્યાજ સહિત 60 લાખ જે.કે.રાજપૂતને ચુકવી દીધા હતા.તેમ છતા ફાઇનાન્સરે 3 ટકા લેખે પેનલ્ટી સાથે 1 કરોડ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી ફેબ્રુઆરી 2021માં રાજુના રહેણાંક ફ્લેટનો સાટાખત પોતાના નામે કરાવી લીધો હતો.જેથી રાજુએ વધારાના 13.50 લાખ ચુકવી દીધા હોવા છતા રાજુ માર્ચ 2021માં ચાર મહિના માટે સાઉથ આફ્રિકા ગયો હતો ત્યારે જે.કે.રાજપૂત તેના મિત્ર સાથે રાજુના ઘરે ઘસી જઇ પત્ની મમતા અને પુત્ર મીતને રિવોલ્વર બતાવી ધાક-ધમકી આપી ઉઘરાણી કરી હતી.આ ઉપરાંત રાજુના નાના ભાઇ સંદીપ ઇટાલીયાને પણ ફોન કરી ઉઘરાણી માટે ગાળાગાળી કરી ધમકી આપી હતી.આ અંગે સીસીટીવી ફૂટેજ અને કોલ રેર્કોડીંગ પણ પુરાવા રજૂ કર્યા છે.