પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવાની હેટ્રિક તરફ જઈ રહ્યા છે.મમતા બેનરજીની પાર્ટી હાલમાં 200 કરતા વધારે બેઠકો પર આગળ છે.બંગાળમાં મમતા બેનરજીની વ્હીલચેર પીએમ મોદીની 20 રેલીઓ પર ભારે પડી ગઈ છે તેવું પરિણામો દર્શાવી રહ્યા છે.મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં થયેલી ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.એ પછી પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેસીને મમતાએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.એવું લાગે છે કે,મમતા બેનરજીને લોકોની જબરદસ્ત સહાનૂભુતિ મળી છે.
વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા
ડોકટરોએ તો તેમને પગમાં પ્લાસ્ટર હોવાથી આરામની સલાહ આપી હતી પણ મમતા બેનરજીએ રેલીઓ અને સભાઓ ગજવવાનું ચાલું રાખ્યુ હતું.આ દરમિયાન તેઓ વ્હીલચેરમાં બેસીને જ લોકોને સંબોધન કરતા નજરે પડ્યા હતા.બંગાળમાં પણ ટીએમસીના ચૂંટણી પ્રચારમાં ઠેર ઠેર મમતા બેનરજીના વ્હીલચેર પર બેઠેલા પોસ્ટરો જ જોવા મળી રહ્યા હતા.
લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા
ભાજપે તો મમતા બેનરજીના વ્હીલચેર પર સભા સંબોધવાને નાટક ગણાવ્યું હતું, કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મમતાએ ટીએમસીની હાર સામે જોઈને આ પ્રકારનુ નાટક રચ્યું છે.આ બધુ સહાનૂભૂતિ મેળવવા માટે છે.જોકે મમતા બેનરજી અડગ રહ્યા હતા અને એવુ લાગે છે કે તેઓ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 100 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે.
બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી છોડી દઈશ
આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે કે કેમ તેના પર બધાની નજર છે.પ્રશાંત કિશોરે અગાઉ પણ કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી બનાવવાનુ મારુ કામ છોડી દઈશ.એટલુ જ નહી તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મારું ટ્વિટ તમે સેવ કરીને રાખો.આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યુ હતુ કે જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ.
તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા
દરમિયાન એક્ઝિટ પોલમાં પણ ભાજપને 100 કરતા વધારે બેઠકો મળશે તેવી આગાહી તો થઈ જ હતી.જોકે હવે તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 100 કરતા નીચે બેઠકો મળી રહી છે.આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે.જોકે ભાજપ 100 કરતા ઓછી બેઠકો મેળવશે કે કેમ તે હજી કહેવું વહેલું છે.