વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે અમેરિકામાં ખાસ બનાવાયેલું એક સ્પેશિયલ વિમાન આજે પાટનગર નવી દિલ્હીમાં ઊતરશે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે.મોટે ભાગે એને એરફોર્સ વન નામ અપાશે અને એનું સંચાલન ભારતીય હવાઇ દળ કરશે.આ વિમાન ‘બખ્તરિયું’ વિમાન હશે.
આ બખ્તરિયું વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે
માત્ર એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડ્યન વચ્ચે ક્યાંય અટક્યા વિના કરી શકે છે.અત્યાર સુધી વડા પ્રધાન એર ઇન્ડિયા- વન કોલ સાઇન સાથે બોઇંગ 747 વિમાન વાપરતા હતા.હવે આ નવું વિમાન બોઇંગ 777 વાપરશે.આ બખ્તરિયું વિમાન 35 હજાર ફૂટની ઊંચાઇએ કલાકે 900 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન 6,800 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.આ વિમાન હવામાં જ નવેસર ઇંધણ ભરી શકે છે.
એના પર મિસાઇલ હુમલાની કોઇ અસર નહીં થાય
આ વિમાનના આગલા હિસ્સામાંજ રાડારને જામ કરી દેતું જામર લગાડેલું છે એટલે કે મોદીનું વિમાન આવી રહ્યું છે એની સામા પક્ષને જાણ થઇ શકે નહીં.એના પર મિસાઇલ હુમલાની કોઇ અસર નહીં થાય.આ વિમાન વધુમાં વધુ 45 હજાર ફૂટની ઊંચાઇએ ઊડી શકે છે.
વિપક્ષો આ વિમાનના મુદ્દે સરકાર પર તૂટી પડે તો નવાઇ નહીં
જો કે વિપક્ષો આ વિમાનના મુદ્દે સરકાર પર તૂટી પડે તો નવાઇ નહીં કારણ કે આ વિમાન હવામાં હોય ત્યારે દર કલાકે એના સંચાલન પાછળ એક કરોડ 30 લાખ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. આવા દરેક વિમાનની કિંમત 8,000 કરોડ રૂપિયાથી વધુ હોય છે.એ મુદ્દો પણ વિપક્ષોના વિરોધનું નિમિત્ત બની શકે છે.જો કે વડા પ્રધાન પર આતંકવાદીઓના હુમલાની શક્યતા વધુ હોવાથી આ વિમાન મંગાવવામાં આવ્યું છે એવો દાવો સરકાર કરી શકે છે.