ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે,લોકતાંત્રિક મૂલ્યો ધરાવે છે – આ બધી માત્ર વાતો છે.અસલમાં ભાજપમાં પણ ટોચનું નેતૃત્વ કોંગ્રેસની જેમ વ્યક્તિ કેન્દ્રિત છે.તેનો વધુ એક પુરાવો મળ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના સર્વેસર્વા છે તેવું ફરી એક વખત સાબિત થઈ ગયું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નવા પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની ઘોષણા કરી છે.તેમાં યોગી આદિત્યનાથને સમાવવામાં આવશે તેની જોરશોરથી ચર્ચા ચાલતી હતી,પરંતુ એ ચર્ચાનું કોકડું વળી ગયું છે.યોગીને પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સમાવાયા નથી.તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે કાશીમાં નીકળેલા વિજય સરઘસમાં તેમને પીએમ બનાવવાના નારા લાગ્યા હતા.એ સમયે જ મોદી અને શાહને આંચકો લાગ્યો હતો.મોદી પછી અમિત શાહ પોતાને વડા પ્રધાન તરીકે જોઈ રહ્યા છે અને એ પ્રમાણેની રાજનીતિ પણ કરી રહ્યા છે,એવામાં કોઈ બીજો કોમ્પીટીટર ઊભો થાય એ તો તેઓ કેમ સ્વીકારી શકે? યોગી માટે વધારે મુશ્કેલી એટલા માટે ઊભી થઈ છે કેમ કે તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા છૂપી રાખી શક્યા નથી.તેઓ સતત પોતાને ભાવિ વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે.તેમની આ ઉતાવળ તેમના માટે જોખમી પુરવાર થઈ રહી છે.અમિત શાહે તેમને કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડમાંથી બાકાત રાખી ‘મોદી પછી કોણ?’ એવા કઠિન પ્રશ્નનો સરળ જવાબ આપી દીધો છે.