– ભારતે 417.81 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે
નવી દિલ્હી,તા.02 એપ્રિલ 2022,શનિવાર : કોરોના મહામારી બાદ હવે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધની માઠી અસર લગભગ બધા જ દેશો ઉપર જોવા મળી રહી છે.નિકાસના મોરચે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.ભારતે 417.81 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે.સરકારી સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.મોદી સરકારે 2021-22માં 400 અબજ ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જે નાણાકીય વર્ષના અંતના 10 દિવસ પહેલા હાંસલ કરવામાં આવ્યો છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે જ આ માટે ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત હતો.
સૂત્રોએ જણાવ્યું કે, ભારત દરરોજ એક અબજ ડોલરના માલની નિકાસ કરે છે. એટલે કે, લગભગ 40.38 અબજ ડોલર્સની કિંમતનો સામાન દરરોજ અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.હાલમાં સરકારે નિકાસના સત્તાવાર આંકડા જાહેર નથી કર્યા.આ એક કામચલાઉ આંકડો છે.અંતિમ આંકડામાં હજુ વધુ વધારો થવાની શક્યતા નકારી ન શકાય.
દેશમાંથી નિકાસ વધવાની સાથે સાથે વર્ષ 2021-22માં વિદેશમાંથી આયાત પણ વધી છે.તેનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ,સોનું અને અન્ય કોમોડિટીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો છે.આ કારણે ભારતના આયાત બિલમાં પણ વધારો નોંધાયો છે. 2021-22માં ભારતની આયાત વધીને 610.22 અબજ ડોલર થઈ ગઈ છે.જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ છે.માર્ચ 2022માં ભારતે વિદેશમાંથી 59.07 અબજ ડોલરના સામાનની આયાત કરી છે.આ કારણે માર્ચમાં વેપાર ખાધ પણ વધીને 18.69 અબજ ડોલરે પહોંચી ગઈ છે.