નરેન્દ્ર મોદી સરકાર રેલવે,રસ્તાઓ,એરપોર્ટ,ગેસ પાઇપલાઇન,સ્ટેડિયમ,વીજળી અને ગોડાઉનને ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી કરી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર આ આને વેચશે નહીં બલ્કે ભાડા પર આપશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનનું માનવું છે કે આ પ્રોગ્રામ દ્વારા સરકાર 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા નફો કમાશે.આ સમાચાર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો મોદી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે.
સોમવારે નાણામંત્રી સીતારમને નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન કાર્યક્રમની શરૂઆત કરી તો સૌથી વધારે ચર્ચા થઇ 600000 કરોડની એ રકમની જેને સરકાર યોજના દ્વારા હાંસલ કરવાની છે.મોદી સરકાર આ પ્રોગ્રામથી 4 વર્ષમાં એટલે કે 2025 સુધીમાં 6 લાખ કરોડ રૂપિયાની આવક કરશે.એવા સીતારમનનો દાવો છે.
કેન્દ્ર સરકાર ખોટમાં ચાલી રહેલી સાર્વજનિક કંપનીઓને વેચી રહી હતી.આ જાણકારી તો તમને પહેલાથી જ હશે.પણ સરકાર હવે પોતાના કમાણી માટે પાયાના ક્ષેત્રની પરિયોજનાઓ,જેમકે રેલવે-રસ્તા-એરપોર્ટ-ગેસ પાઇપલાઇન-સ્ટેડિયમ-વીજળી-ગોડાઉનને ખાનગી ક્ષેત્રોના મોટા ખેલાડીઓને અમુક સમય માટે આપશે અને તેના બદલામાં તેમની પાસેથી ભાડાની વસૂલાત કરશે.આ મોટા પ્રોજેક્ટસને સરકાર ભાડે પર આપશે.
ધ્યાન રહે કે કેન્દ્ર સરકાર અનુસાર આ સંપૂર્ણ પ્રક્રિયામાં આ પ્રોજેક્ટનું સ્વામિત્વ ખાનગી કંપનીઓને હસ્તાંતરિત કરવામાં આવશે નહીં.અમુક વર્ષો પછી આ પ્રોજેક્ટનાં સંચાલનની જવાબદારી કેન્દ્ર સરકાર પોતાના હાથોમાં લઇ લેશે.આ સમય કેટલો લાંબો રહેશે તે કેન્દ્ર અને ખાનગી કંપનીઓની વચ્ચે કરાર પર નક્કી થશે.
સરકાર કશું પણ વેચી રહી નથી
નાણામંત્રી સીતારમને કહ્યું કે, લોકોને એવો ભ્રમ થવો જોઇએ નહીં કે સરકાર કશું વેચી રહી છે.આ દરેક કંપનીઓનું સ્વામિત્વ સરકારના હાથોમાં જ રહેશે.ખાનગી કંપનીઓ અમુક વર્ષ પછી અનિવાર્ય રીતે આ સંપત્તિઓને સરકારને પાછી સોંપી દેશે.નાણામંત્રીએ દેશને વિશ્વાસ આપતા કહ્યું કે આ યોજનાનો મુખ્ય લક્ષ્ય મોનેટાઇઝેશન દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં મદદ કરવાનું છે.આ પ્રક્રિયાથી દેશના નાગરિકોને સામાજિક આર્થિક વિકાસ થશે અને તેમને ક્વોલિટી લાઇફ મળી શકશે.