– વિધાનસભામાં હોબાળા બાદ લેવાયેલો નિર્ણય
– વિધાનસભામાં સત્તાધારીઓ દ્વારા માગણી થતાં રાજ્યના ગૃહમંત્રીની ઘોષણા
– વિરોધી પક્ષે મનસુખ હિરેનનો મુદ્દો ઉઠાવતાં શાસકોએ ડેલકર પ્રકરણ ખોલ્યું
અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો જેમાંથી મળ્યા તે કારના ધારક થાણેના રહેવાસી મનસુખ હિરેનના મૃત્યુ કેસમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના પ્રભારી પીઆઈ સચિન વાઝેની ધરપકડ કરવાની માગણી વિરોધી પક્ષ દ્વારા મંગળવારે વિધાનસભામાં જોરશોરથી કરવામાં આવી હતી,જેના જવાબમાં રાજય સરકારે ભાજપની સંડોવણી ધરાવતું મોહનભાઈ સંજીભાઈ ડેલકર (58) આત્મહત્યા પ્રકરણે એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરવાની ઘોષણા વિધાનસભામાં કરવામાં આવી હતી.
મનસુખ હિરન,સચિન વાઝે અને દાદરા નગર હવેલીના સાત વારના સાંસદ ડેલકર પ્રકરણ મંગળવારે વિધાનસભામાં ગાજ્યું હતું.આ મુદ્દાનો ઉત્તર આપતાં રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ડેલકર આત્મહત્યા પ્રકરણની તપાસ એસઆઈટી મારફત તપાસ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.ડેલકર સાત વાર સાંસદ હતા.આવી વ્યક્તિ મુંબઈમાં આવીને આત્મહત્યા કરે છે.તેમણે સુસાઈડ નોટમાં બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમાં તેમણે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલનું નામ લીધું છે.
પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.વારંવાર મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતી હતી.સામાજિક જીવનમાંથી ખતમ કરવાની ધમકી આપવામાં આવતી હતી,એમ ડેલકરે સુસાઈડ નોટમાં લખ્યું છે,એવી માહિતી દેશમુખે સભાગૃહમાં આપી હતી.પટેલ અગાઉ ગુજરાતમાં ભાજપ સરકારમાં અગાઉ ગૃહમંત્રી હતા.તે સમયે કદાચ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. આ પછી પટેલની પ્રશાસક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.ડેલકરે સુસાઈડ નોટમાં એમ જણાવ્યું છે કે હું મુંબઈ આવીને આત્મહત્યા કરી રહ્યો છું,મને ત્રાસ ત્યાં (દાદરા નગર હવેલી) આપવામાં આવ્યો હોવા છતાં હું અહીં આવીને આત્મહત્યા કરી રહ્યો છું,કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે,રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ્લ પટેલ અને મહારાષ્ટ્ર સરકાર પર મારો વિશ્વાસ છે.
મને ન્યાય મહારાષ્ટ્રમાં જ મળશે.તેમનાં પત્ની કલાબેનને પણ મને પત્ર આપ્યો છે.પુત્ર અભિનવે પણ પત્ર આપ્યો છે.આ પૂર્વે જણાવ્યા તે જ આરોપો તેમણે કર્યા છે,એમ દેશમુખે જણાવ્યું હતું.પૂર્વે મનસુખ હિરેને આત્મહત્યા નહીં પણ તેની હત્યા જ થઈ છે એમ તે માટે પીઆઈ સચિન વાઝે જવાબદાર છે એવું કહીને ધરપકડ કરવાની માગણી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી,જેને લઈ બે વાર ગૃહનું કામકાજ મોકૂફ રાખવું પડ્યું હતું.
આ પછી શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે મનસુખ પ્રકરણની તપાસ તો થવી જ જોઈએ,પરંતુ આ જ નિયમ હેઠળ ડેલકર પ્રકરણની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરું છું,એમ વિધાનસભામાં જણાવ્યું હતું, જે પછી દેશમુખે એસઆઈટીની તપાસની ઘોષણા કરી હતી. 22 ફેબ્રુઆરીના રોજ મરીન ડ્રાઈવ પર હોટેલ સી ગ્રીનના પાંચમાં માળે રૂમમાં ડેલકરે સીલિંગ ફેન સાથે શાલ થકી ગળે ફાંસો ખાધો હતો.તેમણે પોતાના લેટરહેડ પર 15 પાનાંની સુસાઈડ નોટ લખી રાખી હતી,જેમાં તેમને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો તે વિશે લખ્યું છે.