કીવ : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુક્રેનના ઓડેસા પોર્ટમાં આશરે 14 દેશોના 39 જહાજો બ્લોક થયા છે.યુક્રેનના ટોચના અધિકારીએ આ અંગેના અહેવાલને પુષ્ટી આપી છે.પોર્ટ સિટી ઓડેસામાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથેની બેઠક દરમિયાન ઓડેસા ઓબ્લાસ્ટ મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા મેકસીમ માર્કેન્કોએ આ અહેવાલને પુષ્ટી આપી હતી.આ બેઠકમાં પોર્ટ પરથી કૃષિ અને બીજા ઔદ્યોગિક પ્રોડક્ટ્સની નિકાસ માટે કોરિડોર બનાવવાના માર્ગની પણ ચર્ચાવિચારણા કરાઈ હતી.
રશિયાના તોપમારામાં આ પોર્ટ સિટીમાં આશરે 55 લોકોના મોત થયા છે.યુદ્ધથી શહેરમાં સંખ્યાબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાનો નાશ થયો છે.આ વિકટ ગતિવિધિ વચ્ચે માર્કેન્કોએ દેશના વડાની મદદથી આ મુશ્કેલ મુદ્દાનો ઉકેલ લાવવાની તથા પોર્ટથી બંધનમુક્ત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.યુદ્ધગ્રસ્ત દક્ષિણી પોર્ટ સિટીમાં ઝેલેન્સ્કીની આ પ્રથમ મુલાકાત છે.આ વિસ્તારમાં યુક્રેનના દળો રશિયાની આર્મીનો સામનો કરીને આગળ વધી રહી રહ્યા હોવાના પણ અહેવાલ છે.
ઓડેસામાં તૈનાત લશ્કરી દળો સાથેની અલગ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે તમે યુદ્ધનો સામનો કરીને જીવિત છો તે મહત્ત્વનું છે.તમે જીવિત છો ત્યાં સુધી યુક્રેનની મજબૂત દિવાલ બનીને દેશનું રક્ષણ કરી શકશો.તમે જે શ્રેષ્ઠ સેવા કરી રહ્યા છો તે બદલ હું યુક્રેના લોકો વતી તમારો આભાર માનું છું.પ્રેસિડન્ટ ઓડેસાથી 132 કિમી દૂર આવેલા માયકોલેવની પણ મુલાકાત લીધી હતી.અહીં તેમણે યુક્રેનના દળોને મેડલ આપ્યા હતા અને યુક્રેનની સંભાળ રાખવાનો અનુરોધ કર્યો હતો.આ શહેરને રશિયાના લશ્કરી દળો સતત લક્ષ્યાંક બનાવી રહ્યાં છે.રશિયાએ અહીં રોકેટ અને હવાઇ હુમલા કર્યા છે.આ શહેર ખેરસન શહેરથી આશરે 100 કિમી દૂર છે.ખેરસન પર રશિયાના દળોએ કબજો કર્યો છે.


