અમદાવાદ : કેન્દ્ર સરકારના ડિસેબિલિટી એક્ટ ૨૦૧૬ મુજબ હવે ગુજરાત યુનિ.માં આગામી શૈક્ષણિક વર્ષથી તમામ યુજી અને પીજી કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામા આવશે.આ બાબતે આજે મળેલી સીન્ડીકેટ અને એકેડમિક બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામા આવી હતી.અગાઉ તમામ કોર્સમાં ત્રણ ટકા બેઠકો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામા આવતી હતી.યુજી અને પીજી સહિતના તમામ વોકેશનલ કોર્સીસ તેમજ ટેકનિકલ કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અગાઉની કાયદાકીય જોગવાઈઓ મુજબ ત્રણ ટકા બેઠકો અનામત રાખવામા આવે છે.પરંતુ કેન્દ્ર સરકારનો ૨૦૧૬ના રાઈટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ લાગુ થતા હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારની ગ્રાન્ટ મેળવતી તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પાંચ ટકા બેઠકો અનામત રહેશે.આ એક્ટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નક્કી કરાયેલી બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છુટ પણ મળશે.
કેન્દ્ર સરકારનો આ એક્ટ લાગુ થતા અને રાજ્ય સરકાર દ્વારા પણ તેનો અમલ કરવાની સૂચના અપાતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે સીન્ડીકેટ બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી પાંચ ટકા બેઠકો પર દિવ્યાંગ વિદ્યાર્થીઓને અનામત આપવાનો નિર્ણય કરાયો હતો.જે મુજબ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં યુજી અને પીજી સહિતના તમામ કોર્સમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે નિયત માન્ય પ્રમાણપત્ર ધરાવે છે અને એક્ટમાં સમાવિષ્ટ જોગવાઈઓ મુજબની શારીરિક ખોડખાંપણ કે ડિસેબિલિટી ધરાવે છે તેઓ માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામા આવશે.આગામી વર્ષના પ્રવેશ માટેના નિયમો અને બુકલેટમાં પણ આ નવી જોગવાઈનો સમાવેશ કરાશે.