લખનૌ, તા.30. માર્ચ 2020, સોમવાર
દેશમાં લોકડાઉન વચ્ચે લાખો મજૂરો વતન પલાયન થઈ રહ્યા છે.જેમના માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ છે.
જોકે વતનમાં પહોંચ્યા બાદ પણ મજૂરોને રાહત નથી. યુપીના બરેલી જિલ્લામાં પલાયન કરીને પહોંચેલા મજૂરોને સેનિટાઈઝ કરવા માટે કેમિકલથી નવડાવાયા હોવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મુદ્દે્ વિપક્ષે હવે યોગી સરકાર પર માછલા ધોવનુ શરુ કર્યુ છે.નોઈડાથી પાછા ફરેલા મજૂરોને પોલીસે સેનિટાઈઝ કરવાના નામે રસ્તા પર બેસાડ્યા હતા અને તેમના પર કેમિકલનો છંટકાવ કર્યો હતો. આ કેમિકલ જંતુનાશક દવા હોવાનુ મનાઈ રહ્યુ છેએ પછી તેમને આગળ રવાના કરી દેવાયા હતા.
સૂત્રોનુ કહેવુ છે કે, જે કેમિકલનો ઉપયોગ કરાયો છે તે ડેંગુના લાર્વાના મારવા માટે ઉપયોગમાં લેવાય છે. જોકે આ વિડિયો બહાર આવ્યા બાદ તંત્રે હાલમાં તો મૌન ધારણ કરી લીધુ છે. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ આ શરજનક હરકત કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ સવાલ કરતા કહ્યુ છે કે, શું તેમના પર કેમિકલ છાંટવુ યોગ્ય છે .તેમના માટે કપડા બદલવાની કોઈ વ્યવસ્થા છે. તેમના પલળી ગયેલા સામાનનુ શું? તેમને આ રીતે નવડાવો નહી. તેનાથી તેમનો બચાવ નહી થાય બલ્કે તેમની તબિયત વધારે ખરાબ થશે.