સુરત : સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં હીરાનું વજન કરવાનું કામ કરતા યુવાનને તમારો ક્રેડિટ કાર્ડ બંધ થયો છે હું અહીંથી ચાલુ કરી દઈશ કહી ગઠીયાએ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી રૂ.1.50 લાખ ઉપાડી લીધા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના મોતાલીલીયા નાવલી બજારના વતની અને સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ રુપસાગર સોસાયટી ઘર નં.14 માં રહેતા 33 વર્ષીય હિરેનભાઇ અશ્વીનભાઇ રવાણી વરાછા ભવાની સર્કલ પાસે અર્જુન જેમ્સમાં હીરાનું વજન કરવાનું કામ કરે છે.ગત 28 એપ્રિલની સાંજે 5.30 ના અરસામાં તે ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે તમારો એક્સિસ બેન્કનો ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયો છે.આથી હિરેનભાઈએ તેને બેન્ક્માં જઈ ચાલુ કરાવી લઈશ તેવું કહેતા તે વ્યક્તિએ બેન્ક્માં જવાની જરૂર નથી,હું તમને અહીંથી ચાલુ કરી આપું છું તેમ જણાવ્યું હતું.
હિરેનભાઈએ ત્યાર બાદ તે વ્યક્તિએ ક્રેડિટ કાર્ડની વિગતો માંગતા તે આપી હતી.થોડી વારમાં એક ઓટીપી આવ્યો તે પણ આપતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.1,50,269 ઉપડી ગયા હતા.હિરેનભાઈએ આ અંગે કહેતા તે વ્યક્તિએ કહ્યું હતું કે તમારો નવો ક્રેડિટ કાર્ડ આવશે તેમાં પૈસા જમા થઈ જશે.પોતાની સાથે છેતરપિંડી થઈ છે તેવું જાણ્યા બાદ હિરેનભાઈએ પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે વરાછા પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.