લખનૌ , તા. 11. જાન્યુઆરી 2022 મંગળવાર : યુપી વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં ચાલી રહેલા પ્રચાર વચ્ચે યોગી સરકારના ટોચના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાય મૌર્યે કેબિનેટમાંથી રાજીનામુ આપી દેતા ભાજપને ફટકો પડ્યો છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે, તેઓ બહુ જલ્દી સમાજવાદી પાર્ટી જોઈન કરશે.રાજ્યપાલને આપેલા રાજીનામામાં તેમણે કહ્યુ હતુ કે, રાજ્યના શ્રમ મંત્રી તરીકે મેં વિપરિત સ્થિતિઓમાં રહીને જવાબદારી નિભાવી છે પણ દલિતો, પછાતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો તથા વેપારીઓની ઘોર ઉપેક્ષા કરવાના સરકારના વલણના કારણે હું રાજીનામુ આપી રહ્યો છું.એ પછી અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્ય અને પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યુ હતુ કે, સ્વામી પ્રસાદ મોર્ય અને તેમની સાથેના બીજા કાર્યકરો અને સમર્થકોનુ સમાજવાદી પાર્ટીમાં સ્વાગત છે.
છેલ્લા કેટલાક દિવસથી મૌર્યના ભાજપ છોડવા અંગે અટકળો ચાલી રહી હતી.જોકે તેમનુ રાજીનામુ ભાજપ માટે ઝાટકો છે.સ્વામી પ્રસાદ મૌર્ય પછાત જાતિમાંથી આવે છે અને ગત ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત અપાવવામાં પછાત વર્ગોએ ભૂમિકા ભજવી હતી.અખિલેશ યાદવ આ વખતે ચૂંટણી જીતવા પછાત વર્ગોને મનાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.સ્વામી પ્રસાદ મૌર્યની છાવણીના મનાતા બીજા ત્રણ મંત્રીઓ પણ ભાજપ છોડે તેવી અટકલો થઈ રહી છે.