ગુજરાતમાં રથયાત્રા પછી સામૂહિક રીતે પોલીસ અધિકારીઓની બદલી થઇ રહી છે.ઘણાં લાંબા સમય પછી આવી બદલીઓ આવી રહી છે.છેલ્લા કેટલાક વર્ષોથી અડ્ડો જમાવીને એક જ જગ્યાએ ટકી રહેલા અધિકારીઓના નામ યાદીમાં પહેલાક્રમે છે.
ગુજરાતમાં અતિ વિલંબ છતાં આઇપીએસ અધિકારીઓના નવા પોસ્ટીંગ નહીં થતાં અનેક અટકળો તેજ બની છે.હજી સુધી બદલીઓના ઓર્ડર થયા નહીં હોવાથી કેટલાક અધિકારીઓએ રાજકીય પ્રેશર ઉભું કર્યું છે તો કેટલાકે લોબિંગ શરૂ કર્યું છે.એક અધિકારીએ યથાવત જગ્યાએ રહેવા તેમજ મેઇન સ્ટ્રીમમાંથી ફેંકાયેલા ચાર અધિકારીઓએ પ્રાઇમ પોસ્ટીંગ મેળવવા માટે તમામ યુક્તિઓ અજમાવી છે.કેટલાકે દિલ્હી સુધી છેડા અડાડ્યા છે, તો કેટલાક સંગઠનના ટોચના નેતાઓ સુધી પહોંચી ગયા છે.
રાજ્યના ચીફ સેક્રેટરી તેમજ પોલીસ વિભાગના અધિક મુખ્યસચિવ તેમજ રાજ્ય પોલીસ વડાની કચેરીમાં બદલીની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ એવું માનવામાં આવે છે કે અમદાવાદની રથયાત્રાના કારણે આ બદલીઓ અટકી છે.વહીવટી તંત્રની જેમ પોલીસ વિભાગમાં પણ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે હવે પછી જે ટ્રાન્સફર થવાનું છે તેમાં નિષ્ઠાવાન અધિકારીઓને પ્રાઇમ પોસ્ટીંગ મળે તેવી સંભાવના છે.
રાજ્યમાં જિલ્લાના પોલીસ વડા,પોલીસ કમિશનર,પોલીસ ભવનના અધિકારીઓ તેમજ વિવિધ વડાઓની બદલીઓ લાંબા સમયથી થઇ નથી.કેટલાક અધિકારીઓને તો એક જ જગ્યાએ ચાર થી પાંચ વર્ષનો સમય થઇ ચૂક્યો છે. હવે સરકારે આઇપીએસમાં ફેરફારો માટે કવાયત શરૂ કરી છે પરંતુ રથયાત્રા આવતી હોવાથી બદલીના ઓર્ડર આ પર્વ પછી થાય તેવી સંભાવના છે.