અમદાવાદ : શુક્રવાર,27 મે,2022 :અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરના જગદીશ મંદિર ખાતેથી રથયાત્રા કાઢવામાં આવે છે.રથયાત્રા અગાઉ તેના રુટ ઉપર આવતા ૨૮૩ જેટલા ભયજનક મકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઈ છે.ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી આગામી રથયાત્રા પહેલા તેના નિર્ધારીત રુટ ઉપર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.ભયજનક મકાનોનો સર્વે કરી જે તે વોર્ડમાં આવેલા ભયજનક મકાનના ભાગ અથવા તો મકાનને ઉતારી લેવા તંત્ર તરફથી વપરાશકારોને નોટિસ પણ આપવામાં આવી છે.ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૭૬ ભયજનક મકાન અથવા તો ભયજનક ભાગને તાકીદે ઉતારી લેવા માટે નોટિસ અપાઈ છે.દરિયાપુર વોર્ડમાં ૮૪ મકાનોના વપરાશકારોને નોટિસ આપવામાં આવી છે.જમાલપુર વોર્ડમાં દસ મકાન જયારે શાહીબાગ વોર્ડમાં નવ અને શાહપુર વોર્ડમાં ચાર મકાનના ઉપયોગકર્તાઓને નોટિસ આપવામાં આવી છે.દર વર્ષે મધ્યઝોન ઉપરાંત ઉત્તરઝોનમાં રથયાત્રાના પરંપરાગત રુટમાં આવતા સરસપુર સહિતના વિસ્તારોમાં ભયજનક મકાન અંગે તંત્ર તરફથી નોટિસ આપવામાં આવતી હોય છે.
પરંતુ તંત્ર તરફથી આપવામાં આવતી આ પ્રકારની નોટિસની બીજી તરફ નજર નાંખવી પણ જરુરી છે.એટલા માટે કે કોટ વિસ્તારમાં આવેલી પોળોમાં મધ્યમ અને સામાન્ય વર્ગના લોકો તેમના પરિવારસાથે ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.ઉપરાંત આ પરિવારો વર્ષોથી રહેતા હોવાના કારણે તેઓ સામાન્ય ભાડાની રકમ આપતા હોય છે.એક વાત એ પણ છે કે,આ પરિવારો આર્થિક રીતે એટલા સમૃદ્ધ પણ હોતા નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમનુ મકાન ભયજનક હોવા અંગે કે મકાનનો ભાગ ભયજનક હોવા અંગે નોટિસ આપે અને તરત તે મકાનનો ઉપયોગ કરનારા લોકો તેને રીપેર કરાવી શકે.
આ ઉપરાંત એક અન્ય કારણ એ પણ છે કે,ઘણાં એવા મકાનો પણ છે કે જયાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ભાડાની રકમ કે પછી અન્ય કોઈ કારણસર કોર્ટ મેટર ચાલી રહી છે.આ પરિસ્થિતિમાં કોણ મકાન ભયજનક હોવાછતાં રીપેર કરાવે?આ બાબત મ્યુનિસિપલ તંત્રે પોતે સમજવાની જરુર છે.તંત્ર ભયજનક મકાન હોવાઅંગેની નોટિસ દર વર્ષે રથયાત્રા પહેલા આપતુ હોય છે એના બદલે એક ખાસ ઝૂંબેશ કરી આ પ્રકારે સર્વેમાં જોવા મળેલા ભયજનક મકાન કે તેના ભાગને તંત્ર દ્વારા જ ઉતારી લેવામાં આવે એવી કોઈ ચોકકસ નિતી કયા કારણથી અમલમાં મુકાતી નથી એવી સ્થાનિક રહીશોમાં ચર્ચા થતી સાઁબળવા મળી રહી છે.આ પાછળનુ કારણ એ પણ છે કે,જે ભયજનક મકાનમાં રહેવાવાળા પરિવાર આમ પણ આર્થિક તંગ હાલતમાં જીવન જીવતા હોય છે તો પછી એને મકાનનો ભયજનક ભાગ કે એક સમયે આખુ મકાન ઉતારવાનુ થાય તો એ ઉતારવા માટેનો ખર્ચ પણ પોષાવો તો જોઈએને?તંત્ર આટલુ સમજે તો પણ દર વર્ષે નોટિસો આપવાની માથાકૂટ દુર થઈ જાય એમ છે.