બ્રસેલ્સ, તા.૨૫ : યુક્રેન પર રશિયાના આક્રમણ પછી કાળા સમુદ્રમાં ઉદ્યોગોની શિપિંગ એક્ટિવિટી બંધ થઈ ગઈ છે.જોકે,યુક્રેનના એક કમાન્ડરે જણાવ્યું હતું કે,રશિયન સૈન્યે કાળા સમુદ્રમાં રોમાનિયાના એક જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.રોમાનિયા નાટોનું સભ્ય હોવાથી યુક્રેનનું યુદ્ધ હવે નાટો સુધી પણ લંબાય તેવી આશંકા છે.
કાળા સમુદ્રમાં ગુરુવારથી જ શિપિંગ ઈન્ડસ્ટ્રીની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે.સી ઓફ અઝોવમાં પણ કોમર્શિયલ શિપિંગ બંધ કરી દેવાયું છે અને મોટાભાગની શિપિંગ કંપનીઓને યુક્રેનના બંદરે આવતા અટકાવાઈ છે.યુક્રેન નાટોનું સભ્ય ન હોવાથી નાટોએ રશિયા સામે કોઈ સૈન્ય કાર્યવાહી કરી નહોતી.પરંતુ હવે નાટોના સભ્ય રોમાનિયાના જહાજ પર હુમલો થયો હોવાથી નાટો ધૂંઆપૂંઆ થયું છે અને તે રશિયા સામે યુદ્ધ કરે તેવી આશંકા પ્રબળ બની છે.
બીજીબાજુ યુક્રેન પર આક્રમણના વિરોધમાં યુરોપની પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી કરાઈ છે.આર્થિક પ્રતિબંધોની સાથે અંતે અમેરિકાએ હુમલો કરવાની તૈયારી કરી હોવાના અહેવાલો છે.પ્રમુખ બાઈડેને જર્મનીમાં વધારાના ૭,૦૦૦ જવાનોની તૈનાતીનો આદેશ આપ્યો છે.જો બાઈડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે તેમ પણ કહેવાય છે.
દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને શુક્રવારે સિક્યોરિટી કાઉન્સિલ સાથે બેઠક યોજી હતી.ત્યાર પછી તેમણે ફરી એક વખત વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ યુક્રેનને પરમાણુ હથિયારો નહીં બનાવવા દે.તેમણે ઉમેર્યું કે યુક્રેન નાઝીઓ જેવું વર્તન કરી રહ્યું છે.અમે યુક્રેન પર કબજો કરવા માગતા નથી,પરંતુ તેને પરમાણુ હથિયાર પણ નહીં બનાવવા દઈએ.નાટોએ લાલ રેખા પાર કરી દીધી હોવાનો પણ પુતિને દાવો કર્યો હતો.