રસ્તાઓ પર એટલા ખાડા છે કે લોકો ઘરમાંથી ન નીકળે

HM News
4 Min Read

આવી સાવ વિચિત્ર અપીલ કરી છે રસ્તા પર પડી ગયેલા ખાડાઓ સામે લાચાર પોલીસે:જરૂરી કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો અને નીકળો તો પ્રવાસ રોડ દ્વારા નહીં પણ ટ્રેનથી કરો એવા પ્રકારની સૂચના થાણેની પોલીસ આપી રહી છે થાણેમાં છેલ્લા આઠ દિવસથી જોરદાર વરસાદને કારણે નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલ પ્લાઝા,મુમ્બ્રા બાયપાસ,શિળફાટા વિસ્તારમાં ખાડાને કારણે સર્જાતા ટ્રાફિક જૅમને લીધે ટ્રાફિક-પોલીસના હાલ બેહાલ થયા છે.

સવારે વહેલા આવીને રાતે મોડે સુધી ડ્યુટી કરી કેટલાક અધિકારીઓ બીમાર પડી રહ્યા હોવાનો સ્થાનિક અધિકારીનો દાવો છે.જોકે હવે આ ખાડા સામે લાચાર થઈ ગઈ કાલે થાણે પોલીસે બિનજરૂરી કારણસર ઘરની બહાર ન નીકળવા અને રેલવેમાં પ્રવાસ કરવા લોકોને ટ્વિટર પર વિનંતી કરી છે.થાણેમાં મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પર ખાડા પડી ગયા છે,જેને કારણે સમગ્ર થાણે જિલ્લામાં ટ્રાફિક જૅમ સર્જાયો છે. ખારેગાંવ ટોલનાકા વિસ્તારમાં મોટા ખાડાને કારણે શિળફાટા,દહિસર મોરી,ગેમોન રોડ,વાય જંક્શન,મુમ્બ્રા બાયપાસ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી ભારે ટ્રાફિક જોવા મળે છે.સવારે અને સાંજે પીક-અવર્સમાં અહીંથી પસાર થતાં વાહનોને માત્ર ૧૦થી ૧૨ કિલોમીટર સુધીનું અંતર કાપતાં બેથી અઢી કલાક લાગે છે.

અહીં આસપાસ આવેલાં કારખાનાં અને ઇન્ડસ્ટ્રિયલ વેપારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. ભારે ટ્રાફિકને કારણે અહીં કાર્યરત અધિકારીઓને રોજ ૧૫થી ૧૮ કલાક ડ્યુટી માત્ર ટ્રાફિક દૂર કરવા અને અહીં આવેલા ખાડાને ભરવા માટે કરવી પડે છે.એને કારણે ગઈ કાલે થાણે પોલીસે એના ટ્વિટર અકાઉન્ટ પર વાહનચાલકોને સૂચના જારી કરી હતી.મુમ્બ્રા ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેકટર દિલીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી આવી રહેલા વરસાદને કારણે અમારા વિસ્તારમાં મોટા ખાડા પડી ગયા છે.ખારેગાંવ બ્રિજ અને સાકેત બ્રિજ પર મોટા ખાડાને કારણે વાહનો ધીમાં થઈ જાય છે, જેને કારણે પાછળ ટ્રાફિક જૅમ થાય છે.છેલ્લા ચાર દિવસથી અમારા અધિકારી ૧૫થી ૧૮ કલાક ટ્રાફિક હળવો કરવા માટે કામ કરે છે છતાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમ થતો હોવાથી હાલમાં અમારા અધિકારીઓ વધારે કામ કરવાને કારણે બીમાર પડી રહ્યા છે.સવારે અમારો સ્ટાફ પાંચ વાગ્યે આવે છે અને રાતે એક વાગ્યે ઘરે જાય છે.

થાણેમાં રહેતા રાકેશ જૈને‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડીમાં સોનાલે વિસ્તારમાં કપડાંનો વ્યવસાય છે.છેલ્લા આઠ દિવસથી ભિવંડી રોડ પરના ખાડા અને સ્થાનિક પ્રશાસનની યોગ્ય ગોઠવણ ન હોવાને કારણે ભારે ટ્રાફિક થાય છે. આ પહેલાં મને થાણેથી સોનાલે પહોંચવા માટે ૪૫ મિનિટ લાગતી હતી,પણ હાલમાં ત્રણથી ચાર કલાક લાગે છે.રોજ મારો આશરે સાતથી આઠ કલાકનો સમય ટ્રાવેલિંગમાં જાય છે,જેમાં મારા ફ્યુઅલથી લઈ સમયનું મોટું નુકસાન થઈ રહ્યું છે.’

મુલુંડમાં રહેતા અશોક હરિયાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડી અંજુર ફાટા પાસે પાવરલૂમનો વ્યવસાય છે.ચોમાસાની શરૂઆતથી થાણે-ભિવંડી રોડની હાલત ભારે ખરાબ થઈ છે,જેનું પરિણામ અમારા જેવા વેપારીઓએ ભોગવવું પડે છે.આ ટ્રાફિકને લીધે છેલ્લા કેટલાક દિવસોથી વેપારમાં પણ મોટો ફરક પડ્યો છે એની પાછળનું કારણ એવું છે કે આ ટ્રાફિક અને ખાડાને કારણે નવા વેપારીઓ અમારે ત્યાં આવતા નથી.આ પહેલાં મને આશરે એક કલાક ઑફિસ પહોંચતાં લાગતો હતો, જે હાલમાં અઢીથી ત્રણ કલાક થાય છે.

ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર પાવરલૂમ ડેવલપમેન્ટ બોર્ડના મેમ્બર હર્ષ હરિયાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડી-સોનાલે વિસ્તારમાં પાવરલૂમનો વ્યવસાય છે.ભિવંડી રોડ પર પડેલા ખાડાના ત્રાસથી અમારે રોજના કલાકો માત્ર ટ્રાવેલિંગમાં જાય છે.કેટલાક વેપારીઓ વેસ્ટર્નથી પણ આવતા હોય છે,જેમનો આખો દિવસ અમુક વાર ટ્રાવેલિંગમાં જાય છે.એ સાથે આ ખાડા અને ટ્રાફિકને કારણે અમને ઘણાં નુકસાન થાય છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *