નવીદિલ્હી, તા.22 : રાજકારણના ‘ચાણક્ય’, ભાજપના ‘શાહ’ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે.આ પ્રસંગે દેશના દિગ્ગજ નેતાઓ અને પક્ષના અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પિયુષ ગોયલ સહિતના નેતાઓએ ટવીટર મારફતે અમિત શાહને શુભકામના આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી હતી અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી હતી.
યુપીના મુખ્યમંત્રીએ ટવીટ કરીને લખ્યું કે જનપ્રિય રાજનેતા,અદ્ભુત સંગઠનકર્તા,કુશળ રણનીતિકાર,રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવનારા યશસ્વી ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રીરામ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.રેલમંત્રી પિયુષ ગોયલે ગૃહમંત્રીના દીર્ઘાયુની કામના કરતાં લખ્યું કે અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષાને સુનિશ્ર્ચિત કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ.સીએએ લાગુ કરવા,370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ ભાજપ સંગઠન અને રાજ્યોમાં ભાજપ સરકારના વિસ્તારમાં તેમનું યોગદાન અતુલનીય રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુભકામના પાઠવતું ટવીટ કરીને કહ્યું કે દેશના ગૃહમંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તેવી ભગવાનને હું કામના કરું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર-1964માં મુંબઈમાં થયો હતો.તેઓ ગુજરાતના હિન્દુ વૈષ્ણવ પરિવારમાંથી આવે છે.2014 અને 2019ની લોકસભા ચૂંટણી ઉપરાંત અનેક રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ર્ચિત કરવાનો શ્રેય શાહને આપવામાં આવે છે.