રાજકારણના સમીકરણ બદલાયા : રાવપુરાના ઉમેદવાર પૂર્વ મંત્રીને મળ્યા

HM News
2 Min Read

– માતૃ સંસ્થા સામે બળવો કરો એ ભારતીય જનતા પાર્ટીના ગુણ નથી પૂર્વ મંત્રી

વડોદરા,તા.11 નવેમ્બર 2022,શુક્રવાર : વડોદરા શહેર જિલ્લાની બેઠક 10 બેઠકો પૈકી ગઈકાલે ભાજપે પોતાના આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.જેમાં એક મંત્રી અને બે વર્તમાન ધારાસભ્યોની બાદબાકી કરી દેવામાં આવી હતી.પોતાને ટિકિટ ન મળી હોવા છતાં સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પક્ષના આ નિર્ણયને વધાવ્યો હતો અને જે લોકો બળવો કરે છે તેમને લાજ શરમ આવવી જોઈએ તેમ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૈકી રાવપુરાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન ધારાસભ્ય અને સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ટિકિટ આપી ન હતી.તેમના સ્થાને પાર્ટીએ પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર એવા બાળુ શુક્લની પસંદગી કરી છે.પાર્ટીએ બાળુ શુક્લને ટિકિટ આપવાની જાહેરાત કર્યા બાદ આજરોજ પક્ષના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય અને સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે તેમણે રાવપુરા વિધાનસભાની ચૂંટણી રાજુભાઈના માર્ગદર્શન હેઠળ જ લડાશે તેવી જાહેરાત કરી હતી.રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પાર્ટીએ રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં બાળુભાઈને ટિકિટ આપી છે તેમને મારી શુભેચ્છા છે.પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે સારો છે અને પક્ષમાં સૌને તક મળવી જોઈએ.બાળુભાઈ એક સારા ઉમેદવાર છે અને તે જંગી બહુમતીથી જીતશે તેવી મારી શુભેચ્છા છે.હાલ પાર્ટીમાં કરજણ,પાદરા અને વાઘોડિયા વિધાનસભા અંગે કેટલાકે બળવો કર્યો છે અને એ તમામ પૈકી પાદરાના ધારાસભ્યએ અપક્ષ ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી છે.આ અંગે તેમણે જણાવ્યું કે, બળવો કરનારને લાજ-શરમ આવવી જોઈએ.ભારતીય જનતા પાર્ટીએ તમને મોટા કર્યા અને ધારાસભ્ય બનવાની તક આપી.તેમજ પદ પણ આપ્યા છે પછી તમે માતૃ સંસ્થા સામે બળવો કરો એ ભાજપના ગુણ નથી.પક્ષ સિદ્ધાંતો પર ચાલે છે. હું માનું છું કે, બળવો કરનાર રોંદાઈ જશે.બળવો કરનારે ફરી એક વાર વિચાર કરવાની અપીલ કરી તેમણે પક્ષના ઉમેદવારને જીતાડવામાં લાગી જવું જોઈએ તેમ જણાવ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *