સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની નિંદર ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લગાવ્યા છે.નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે.રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીંનાં બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે.સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.એટલું જ નહીં પણ રોડ-રસ્તા અને વરસાદી પાણી ન નિકાલમાં નિષ્ફળ ઉમેદવારો દોડતા થઈ ગયા છે.
રહિશોએ પ્રતિબંધ લગાવી દીધો
દુર્ગાપુરી સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી.આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પ્રશ્નો ન ઉકેલાતા બેનર લાગ્યા
સોસાયટીની બહાર જ એવું બેનર લગાડવામાં આવ્યું છે કે,રાજકીય પક્ષો જોગ,આથી જણાવવાનું કે,અમારી સોસાયટીના રોડ-રસ્તાના કોઈ જ કામકાજ આજદિન સુધી શાસકપક્ષ દ્વારા થયા નથી.વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરાઇ નથી.જેથી કોઇ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. વખતો વખતની રજૂઆત છતાં તેઓના પ્રશ્ન નહીં ઉકેલાતાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વિરોધ કરવામાં આવ્યો છે.


