– ગૃહ વિભાગના સરકયુલરના આધારે ૧૧ માસ માટે એડહોક પ્રમોશન અપાયા
– બઢતી આપી હાલ તો તમામને લીવ રિઝર્વમાં રખાયા: એક, બે દિવસમાં પોલીસ મથકો કે બ્રાન્ચોમાં જરૂરિયાત મુજબ ઓર્ડર કરાશેનો અંદાજ: ૩૩ ટકા મહિલાનો સમાવેશ: ૧૧ મહિલા ૨૨ પુરુષ એએસઆઈ ફાઈનલ કરાયા
રાજ્યમાં પીએસઆઈની ઘટને હંગામી ધોરણે પહોંચી વળવા ૪૦ શહેર,જિલ્લામાં કુલ ૬૭૭ એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર)ને પીએસઆઈ (પોલીસ સબ ઈન્સ્પેકટર) તરીકે હંગામી ૧૧ માસની બઢતી આપવાના ગૃહ વિભાગના સરકયુલર આધારે રાજકોટ શહેર પોલીસ બેડામાં ૩૧ એએસઆઈને પીએસઆઈના ૧૧ માસ માટે એડહોક સીસ્ટમ આધારિત પ્રમોશન અપાયા છે. હવે ૧૧ માસ માટેના તમામ પીએસઆઈ પોસ્ટિંગની રાહમાં છે.બઢતી પ્રક્રિયામાં ૩૩ ટકા અનામત ધ્યાને લેવાયા મુજબ ૧૧ મહિલા એએસઆઈનો બઢતીમાં સમાવેશ કરાયો છે.
ગૃહ વિભાગ દ્રારા ગત માસે તમામ રેન્જ,જિલ્લા પોલીસવડા તથા ચારેય પોલીસ કમિશનરને ફાળવણી મુજબ એએસઆઈને પીએસઆઈના એડહોક સીસ્ટમ (૧૧ માસ માટે) પ્રમોશન આપવા સરકયુલર મોકલાયો હતો.સુરત,વડોદરા સહિત શહેરોમાં પ્રથમ અમલ થયો હતો.રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્રારા પણ તાજેતરમાં ગૃહના સરકયુલર આધારે શહેરના પોલીસ મથકો,બ્રાન્ચોમાં ફરજ બજાવતા એએસઆઈ પૈકીના ૩૧ એએસઆઈને પ્રમોશન આપવાની યાદી તૈયાર કરાઈ હતી.
રાજકોટ શહેરમાં એએસઆઈની બઢતીની તૈયાર થયેલી યાદીમાં ૩૩ ટકા મહિલા અનામતનો મુદ્દો પણ ધ્યાને લેવાયો છે.એ મુજબ ૩૧ એએસઆઈ પૈકી ૧૧ મહિલા એએસઆઈને પ્રમોશન અપાયા છે.
ગૃહ વિભાગના પીએસઆઈની ઘટને લઈ એએસઆઈને હંગામી (એડહોક પ્રમોશન) બઢતીના આજકાલ અખબારમાં ગત સાહે તા.૨૨ના રોજ ‘જો અમલ થાય તો રાજકોટના ૩૧ એએસઆઈ બનશે પીએસઆઈ’ના શિર્ષક હેઠળ અહેવલા પ્રસિધ્ધ કરાયો હતો.અહેવાલ બાદ શહેર પોલીસ દ્રારા ત્વરીત ધોરણે એએસઆઈના લિસ્ટ તૈયાર કરાયા હતા અને જે આધારે ૩૧ એએસઆઈને પીએસઆઈના પ્રમોન આપવામાં આવ્યા છે.આ પ્રમોશન માત્ર હંગામી જ છે,અને તે બઢતીના આધારે આગામી રેગ્યુલર બઢતીમાં કોઈ દાવો નહીં થઈ શકે ઉપરાંત પે-સ્કેલ કે આવા કોઈ ગ્રેડમાં પણ વધારો નહીં મળે માત્ર પોસ્ટિંગ જ ૧૧ માસ માટે પ્રમોશન બેઈઝ પર રહેશે.૧૧ મહિલા તથા ૨૦ પુરુષ એએસઆઈને પ્રમોશન અપાયા છે અને હાલ લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.તમામ હવે પોસ્ટિંગની રાહમાં છે કે કોને કયાં પોલીસ મથકે કે બ્રાન્ચ મળે ? કેટલાક તો વળી સારી કે મનગમતી જગ્યાએ જવા લાગતા વળગતાના છેડા કરી રહ્યા હોવાનું પણ પોલીસના વર્તુળોમાંથી જાણવા મળે છે.તમામના પોસ્ટિંગ સાથે અન્યની પણ બદલીઓ થવાનો અંદાજ છે.
બઢતી પામેલા ૧૧ મહિલા ૨૦ પુરુષ એએસઆઈ
ગૃહના સરકયુલર મુજબ અપાયેલા પ્રમોશનમાં રેખાબેન સાવલિયા,સતરૂપીબેન નાયર,નીતાબેન ડાંગર,હંસાબેન દાફડા,સુધાબેન સોલંકી,પ્રવિણાબેન સોઢાતર,દયાબેન કાકડિયા,મીતલબેન ઝાલા,કાજલબેન માઢક,પુષ્પાબેન પરમાર,અમિતાબેન બકુતરાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પુરુષોમાં પિયુષકુમાર ત્રિવેદી,ચેતન ચાવડા,કર્મદીપ વાળા,મહેશ બુવા,કેયા રાજેશકુમાર,ધર્મેશ ખેર,સુરેશ જોગરાણા,ગૌતમ પરમાર,દિનેશભાઈ ખાંભલા,રાજુ કોડિયાતર,ધર્મેશભાઈ બાલાસરા,મનવીર ચાવડા,જયદીપસિંહ વાઘેલા,રાજદીપસિંહ ગોહિલ,નસરીન બેલીમ,અરૂણ વરૂ,મહેન્દ્ર રાઠોડ,રવિરાજસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ જાડેજાને પ્રમોશન આપવામાં આવ્યા છે.