રાજકોટમાં 6 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો છે.ગઈકાલે પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરોની ઓરડીમાંથી બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ આજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.જોકે હત્યા કોણે અને શા માટે કરી તે સામે આવ્યું ન હોવાથી તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.
નેન્સી અરવિંદભાઈ ડામોરનું અપહરણ થયા બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી છે.ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદના ગરબાડા તાબેના નિમસ ગામના અરવિંદભાઇ રસીયાભાઇ ડામોરની દિકરી નેન્સી (ઉ.વ.6) ગઇકાલે 16મીએ બપોરે ત્રણથી ચારની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી ગૂમ થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.દરમિયાન આજે સવારે આ માસુમ બાળકીની પુનિતનગર પાસે જ ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.ડીસીપી, એસીપી,ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ સ્ટેશનનો ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવી તપાસ શરૂ કરી છે.
શું છે હત્યાનું રહસ્ય?
પોલીસના કહેવા મુજબ, અપહરણની ફરિયાદમાં અરવિંદભાઇ અમલીયારે જણાવ્યું હતું કે, હું હાલ પરિવાર સાથે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર રહુ છું અને મારા બાજુના ગામ સીમળીયા બુજુર્ગની રેખા સાથે પ્રેમસંબંધ હોઇ તેની સાથે 2012માં લવમેરેજ કર્યા હતાં. લગ્ન જીવનમાં એક દિકરી નેન્સીનો જન્મ થયો હતો. જે હાલ 6 વર્ષની હતી. એ પછી રેખા સાથે મારે છુટાછેડા થઇ ગયા હતાં.નેન્સી મારી સાથે જ રહેતી હતી. 2015મા ખરેડી ગામની કાળીબેન સાથે મેં લવમેરેજ કર્યા છે. તેના થકી સંતાનમાં એક દિકરી કિર્તી (ઉ.વ.3) છે. બંને દિકરી અને પત્ની સાથે છ એક વર્ષથી હું રાજકોટમાં રહુ છું.જોકે નેન્સી ઘર પાસે રમવા જવાનું કહીને ગયા પછી ગુમ થઈ ગઈ હતી.આજે લાશ મળતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ શરૂ કરી છે.જોકે આ હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે.હાલ પાંચ અલગ અલગ ટિમો પોલીસે હત્યાનું રહસ્ય જાણવા કામે લગાડી છે.સીસીટીવી ફૂટેજ આધારે પણ ફોરેન્સિકની ટીમ કામ કરી રહી છે..
હાલ પોલીસનાં કહેવા મુજબ, મૃતક નેન્સીના ગાળાના ભાગે ઇજાના નિશાન છે.ત્યારે તેની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હોવાનું અનુમાન છે.જોકે હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે કે પછી કોઈ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની હત્યા કરાઈ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.