રાજકોટ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : આપણે ત્યાં લગ્નમાં રિવાજોના નામે થતા અઢળક ખર્ચને કારણે ઘણા પરિવારોને આર્થિક બોજો પડતો હોય છે.હાલમાં મોંઘવારીના સમયમાં વખત આવી ગયો છે કે સમાજના નામે જે રિવાજોને આપણે હજુ સુધી ખોટેખોટા ખેંચતા આવ્યા છે તે રિવાજો બંધ થાય અને સમાજ આર્થિક રીતે આગળ આવે.આવો જ કોઈ સમાજના કલ્યાણકારી હેતુસર લેવાયેલો ભરવાડ સમાજનો નિર્ણય પણ હાલ ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.રાજકોટ ભરવાડ સમાજ દ્વારા સામૂહિક લગ્નમાં પહેરામણીનો રિવાજ કાઢી નાખવામાં આવ્યો છે.આગામી દિવસોમાં બંધારણની રચના કરીને નિર્ણય થશે.ભરવાડ સમાજની આ અનોખી પહેલ, કે જેમાં રોકડામાં લેતી-દેતી પણ બંધ કરીને 10 તોલાથી વધારે સોનાના દાગીના નહીં ચઢાવવાની પણ વિચારણ હાથ ધરાશે.
ભરવાડ સમાજે પોતાનાઓની ચિંતા કરી
ભરવાડ સમાજમાં છેલ્લા ઘણા દાયકાઓથી પહેરામણીનો રિવાજ ચાલતો આવવ્યો છે.લગ્નમાં મોટા પ્રમાણમાં રોકડા આપીને પહેરામણી કરવામાં આવે છે.સોનાના દાગીના પણ લગ્નમાં આપવામાં આવતા હોય છે.બદલાતા સમયમાં હવે સમાજે પણ આવા રિવાજો હટાવી લોકોની સ્થિતિમાં સુધાર અંગે વિચારવું થયું છે.ત્યારે ભરવાડ સમાજે પોતાના સમાજની ચિંતા કરીને જુની પરંપરાઓ કે જે મુશ્કેલીઓ સર્જી રહી હતી તેમાં વિચારણા શરૂ કરી છે.આજના સમયમાં કોઈની પરિસ્થિતિ સારી હોય તો કોઈ આર્થિક રીતે એટલા સક્ષમ ન પણ હોય.પહેરામણીનો રિવાજ મોટી આર્થિક મુશ્કેલી બની શકે છે.
પ્રસંગો દેવાનું ડુંગર ઊભું કરી દે છે
આર્થીક સક્ષમ વ્યક્તિ તો ઠીક આ રિવાજને કારણે ગરીબ પરિવારના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે દેવાના ડુંગર ચણાઈ જતા હોય છે.આ આખો પરિવાર લાંબા સમય સુધી આ ડુંગરના તળીયે દટાયેલો થતો જાય છે.ત્યારે ભરવાજ સમાજના આગેવાનોએ આ અંગે ચિંતા કરી છે અને હવે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં ભરવાડ સમાચ મોટી સંખ્યામાં રહે છે ત્યાં બેઠકો શરૂ કરવામાં આવી છે.દરેક લોકોને આ બાબતે સમજાવી સહમતિ લેવામાં આવી રહી છે.