રાજકોટ : રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ પર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નિયમો મામલે કડક વલણ અખત્યાર કર્યુ છે.રાજુ ભાર્ગવની નિયુક્તીની શરૂઆતથી જ રાજકોટમાં આક્ષેપોથી ઘેરાયેલી પોલીસની છબી સુધારવા માટે તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે.માટે જ રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ એક સપ્તાહ સુધી પોલીસના વાહનમાં પોલીસ લખેલું કે પોલીસના પાટીયા હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને લાઈન આઉટ કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.પરંતુ છતાં કેટલાક કર્મચારી નહીં સમજતા સૂચનાના ભંગ બદલ 7 કર્મચારીઓને 7 દિવસમાં જ ક્વાર્ટર ખાલી કરવા નોટીસ ફટકારી દેવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કર્મચારીઓ કાળા કાચ,નંબર પ્લેટ વગર અને પોલીસના લોગો કે પાટીયા વાહનમાં લગાવી ફરે છે તેવા આક્ષેપો સતત થતા રહ્યાં છે.ત્યારે રાજુ ભાર્ગવે રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્તી બાદ તુરંત જ આવા કર્મચારીઓને દંડ તેમજ વાહન જપ્તીની કાર્યવાહી કરી કાયદાથી સમજાવ્યા હતા.સાથે જ સૂચના પણ આપી હતી કે આ પ્રકારે કાળા કાચ,નંબર પ્લેટ વગરના વાહન અને પોલીસના લોગો કે પાટીયા લગાવી ફરો તે નહીં ચાલે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના અને કાર્યવાહી બાદ પણ કેટલાક કર્મચારી નથી સૂચનાનો અમલ નહોતા કરી રહ્યાં.એવામાં વાહન ચેકિંગ દરમિયાન શહેરના 4 અને જિલ્લાના 3 પોલીસ કર્મચારીના વાહનમાં પોલીસના બોર્ડ,સ્ટિકર જોવા મળ્યા હતા.આ મામલે હેડક્વાર્ટર પી.આઈ. કોટડીયા દ્વારા તેમને નોટિસ ફટકારી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કર્મચીરને વાહન નંબર ટાંકીને શિસ્તભંગનો આરોપ મુકી ક્વાર્ટર સમય મર્યાદામાં જમા કરી દેવા જણાવાયું છે.જો આવું નહીં કરાવમાં આવે તો ક્વાર્ટરનો અનધિકૃત કબ્જો માની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.મહત્વની વાત છે કે, કર્મચારીઓ વૃધ્ધ માતા-પિતાની સ્થિતી ધ્યાને રાખી એક તક આપે તેવી રજૂઆત કરી રહ્યા છે.