- દેશમાં નોંધાયેલા કુલ 213 કેસોમાંથી લગભગ 27% કેસ દિલ્હીના
નવી દિલ્હી,તા.23 ડિસેમ્બર,ગરૂવાર : કોરોના વાયરસના વેરિએન્ટ ઓમિક્રોને સરકારની ચિંતા વધારી દીધી છે.ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનોમિક એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)ના જણાવ્યા પ્રમાણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરીક્ષણ કરાયેલા દર 5 મુસાફરોમાંથી એક કેસ ઓમિક્રોનનો મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે આઈજીઆઈબીમાં દરરોજ 15થી 20 નમૂનાઓ સિક્વેન્સિંગ કરવામાં આવી રહ્યા હતા.દિલ્હીમાં 2 ડિસેમ્બરે પરત ફરેલા 37 વર્ષના વ્યક્તિમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.છેલ્લા 20 દિવસમાં આ સંખ્યા 57 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં આ વેરિએન્ટના નવા 3 કેસની પૃષ્ટિ થઈ છે જે ડેલ્ટા વેરિએન્ટથી ત્રણ ગણો વધારે સંક્રામક છે.
સમુદાયમાં પણ ફેલાઈ શકે છે ઓમિક્રોન : શરૂઆતમાં ઓમિક્રોન આતંરરાષ્ટ્રીય મુસાફરો સુધી સીમિત હતો પરંતુ એપિડેમિઓલોજિસ્ટ્સે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ-19ના કેસોમાં અચાનક થયેલો વધારો જણાવે છે કે,તે સમુદાયમાં પણ ફેલાઈ શકે છે.અમારી પાસે હોસ્પિટલમાં ઓમિક્રોનના 17 દર્દીઓ દાખલ છે જેમાંથી 3 દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
કુલ કેસોમાંથી લગભગ 27 ટકા કેસ દિલ્હીમાં : દેશમાં નોંધાયેલા કુલ 213 કેસોમાંથી લગભગ 27% કેસ દિલ્હીમાં છે.દિલ્હી બાદ બધા મહાનગરોમાં જોઈએ તો મુંબઈમાં સૌથી વધારે (30) કેસો છે.લોક નાયક હોસ્પિટલના તબીબી નિર્દેશક ડો.સુરેશકુમારે જણાવ્યું કે,દિલ્હી અને મુંબઈ બંને સૌથી વ્યસ્ત એરપોર્ટ છે જ્યાં રોજ સેંકડો આતંરરાષ્ટ્રીય મુસાફરો આવે છે અને આ જ કારણે બંને શહેરોમાં કેસોની સંખ્યા વધારે છે

