રાજસ્થાનના અલવરમાં જિલ્લામાં આવેલા રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂનું એક મંદિર બૂલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું.એ મુદ્દે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે.ભાજપ અને કોંગ્રેસ સામા-સામા આરોપો મૂકી રહ્યા છે.મંદિર તૂટયું એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.રાજસ્થાનના અલવર જિલ્લામાં રાજગઢ નગર પાલિકા હેઠળ આવતા એક હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.૩૦૦ વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફરી વળ્યું હતું અને મૂર્તિઓને પણ તોડી પાડવામાં આવી હતી.એ ઘટના વખતે હાજર સરકારી અધિકારીઓ જૂતા પહેરીને શિવાલયમાં ફરતા હતા.એ મુદ્દે સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ભાજપે આ ઘટના માટે કોંગ્રેસની રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી, જ્યારે કોંગ્રેસે તેની પાછળ ભાજપશાસિત નગરપાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.ભાજપના સ્થાનિક નેતાઓએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.ભાજપે કલેક્ટર, નગર પાલિકાના અધિકારી ઉપરાંત ધારાસભ્ય સામે તુરંત પોલીસ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે ૩૦૦ વર્ષથી નગરની વચ્ચોવચ ઉભેલું મંદિર અચાનક કેમ તોડી પાડવું પડયું? ભાજપે એક ટીમને ઘટનાનો રીપોર્ટ આપવા માટે મોકલી છે.
બીજી તરફ કોંગ્રેસે બચાવ કરતા કહ્યું હતું કે આ કામ રાજ્ય સરકારે કર્યુ નથી.ભાજપ શાસિત રાજગઢ નગર પાલિકાએ મંદિર તોડી પાડયું છે.વિકાસના નામે જે પ્રસ્તાવ મૂકાયો તેને ભાજપના ૩૫ નગરસેવકોએ મંજૂર કર્યો હતો.નગરપાલિકામાં કોંગ્રેસનો માત્ર એક જ સભ્ય છે.રાજગઢ કોંગ્રેસના ધારાસભ્ય જૌહરીલાલ મીણાએ કહ્યું હતું કે મંદિર અને આસપાસનું દબાણ હટાવવામાં કોંગ્રેસની કોઈ જ ભૂમિકા નથી.કોંગ્રેસ તો આ મંદિર ફરી બાંધવાના પક્ષમાં છે.ભાજપ શાસિત નગરપાલિકાની બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, ત્યારે કોંગ્રેસના નગરસેવકે તો તેનો વિરોધ પણ કર્યો હતો.રાજગઢમાં દબાણ હટાવવાની કામગીરીના ભાગરૃપે કુલ ત્રણ મંદિરો તોડવામાં આવ્યા હતા.સ્થાનિક અધિકારીઓએ કહ્યું હતું કે મંદિર રસ્તામાં આવે છે અને એ જમીન સ્થાનિક સરકારની માલિકીની છે.અગાઉ ગયા સપ્તાહે રાજગઢ નગર પાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહીમાં ૮૫ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.