ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે રાજસ્થાન ભાજપના નેતાઓને દિલ્હી (Delhi) બોલાવ્યા છે.તેને લઇ રાજસ્થાનમાં રાજકીય ગલિયારામાં ચર્ચા તેજ થઇ ગઇ છે.જેપી નડ્ડાને મળવા માટે પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા અને વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠૌર દિલ્હી પહોંચ્યા છે.
સૌથી અગત્યની વાત એ છે કે રાજસ્થાનના રાજકારણ સાથે જોડાયેલી આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને બોલાવ્યા નથી.અચાનક જેપી નડ્ડા એ આ નેતાઓને બોલાવીને કેટલાંય પ્રકારના અટકળો વહેવા લાગી છે.ગઇ વખતે જ્યારે આ લોકો મળવા માટે ગયા હતા ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસમાં રાજકીય સંકટ શરૂ થયું હતું.
ફરી એકવખત મળવા ગયા છે ત્યારે લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે આખરે જેપી નડ્ડા એ રાજસ્થાનના આ ત્રણેય મોટા નેતાઓને દિલ્હી કેમ બોલાવ્યા છે? કહેવાય છે કે જેપી નડ્ડાની સાથે આ મીટિંગ બાદ રાજસ્થાન સરકારને તોડવા ભાજપ પ્રદેશના રાજકારણમાં કોઇ મોટો ફેરફાર કરી શકે છે.જો કે પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા એ કહ્યું કે આ સામાન્ય બેઠક છે અને રાજસ્થાનમાં વિધાનસભાના ત્રણ પેટા ચૂંટણી થવાની છે. આ સિવાય સ્થાનિક ચૂંટણીઓ થવાની છે તેની તૈયારીઓના સિલસિલામાં આ બેઠક બોલાવી છે.
આ બેઠકમાં વસુંધરા રાજેને બોલાવ્યા નથી તો તેના પરથી એ સંદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે રાજસ્થાન ભાજપના રાજકારણમાં હવે વસુંધરા રાજના દિવસ ભરાઇ ગયા છે.થોડાંક દિવસ પહેલાં જ વસુંધરા રાજેના વિરોધી નેતા ઘનશ્યામ તિવારીની ભાજપમાં વાપસી થઇ હતી. રાજેના વિરોધના લીધે ઘનશ્યાન તિવારીની વાપસી થઇ શકતી નહોતી પરંતુ હવે મનાય છે કે રાજસ્થાનના રાજકારણમાં વસુંધરા વિરોધી જૂથ મજબૂત થઇ રહ્યું છે અને તિવારીની વાપસી તેના તરફ ઇશારો કરી રહ્યું છે.


