રાજસ્થાનમાં ગેહલોત સરકારે ધારાસભ્યોને લાંચને લગતા ત્રણેય કેસ બંધ કરી દઈ આશ્ચર્ય સર્જાયું છે.એક કેસમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને આરોપી દર્શાવાયા હતા.કેસ નોંધનારી એસઓજીએ કોઈ કેસ જ નથી બનતો એવી રજૂઆત કરતાં કોર્ટે જેલભેગા કરાયેલા ત્રણ આરોપીને છોડવાનો આદેશ આપી દીધો.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુધ્ધવિરામ થઈ ગયો
ગેહલોત સરકારના આ પગલાને કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુધ્ધવિરામ થઈ ગયો છે.ગેહલોત આ કેસો પાછા ખેંચે અને તેના બદલામાં ભાજપ ગેહલોત સરકારને ગબડાવવાના પ્રયત્નો બંધ કરી દે એવી સમજૂતી કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.વસુંધરા રાજેએ વચ્ચે રહીને આ સમજૂતી કરાવી હોવાનું કહેવાય છે.
ભાજપે પોતાના ૧૨ ધારાસભ્યોને ગુજરાત મોકલતાં સમજૂતીનો દાવો શંકાસ્પદ
જો કે ભાજપે પોતાના ૧૨ ધારાસભ્યોને ગુજરાત મોકલતાં સમજૂતીનો દાવો શંકાસ્પદ છે.આ તમામ ધારાસભ્યો વસુંધરા જૂથના છે.ભાજપે વસુંધરાને વેતરી નાંખવા સંગઠનમાં જયપુરના રાજ પરિવારનાં દિવ્યા કુમારીને નિમ્યાં છે.આ કારણે નારાજ વસુંધરા શનિવારે દિલ્હીમાં નડ્ડા,સંતોષ અને રાજનાથસિંહને મળતાં ભાજપમાં પણ કશુંક રંધાઈ રહ્યું હોવાનું લાગે છે.