પંચાયત ચૂંટણીમાં હાર બાદ રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની સામે સંકટ ઉભું થઈ ગયું છે.ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકારનો ટેકો પાછો ખેંચી લીધો છે. BTPના બે ધારાસભ્યો ગહેલોત સરકારને સમર્થન આપી રહ્યા હતા.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગેહલોત સરકારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી ત્યારે બંને ધારાસભ્યોએ અશોક ગેહલોતને ટેકો આપ્યો હતો.તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પંચાયત સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી બેઠકો ગુમાવી છે. BTPના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચૂંટણીમાં તેમનું સમર્થન નથી કર્યું અને તેમની સાથે છેતરપિંડી કરી છે.પંચાયતોની ચૂંટણીમાં ભાજપે 1833 બેઠકો જીતી હતી,જ્યારે કોંગ્રેસે 1713 બેઠકો જીત મળી છે. આ ઉપરાંત જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપનું પ્રદર્શન વધુ સારું હતું.
જો કે,બંને ધારાસભ્યોની ટેકો પાછો ખેંચી લેવાની અસર અશોક ગેહલોત સરકાર પર પડશે નહીં.કારણ કે હવે રાજ્યમાં કોંગ્રેસની બહુમતી છે.પરંતુ કેટલીક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે,જેમાંથી ગેહલોત સરકાર પાસે હાલમાં 118 બેઠકો છે.જો કે,આમાંથી ઘણા અપક્ષના ધારાસભ્યો પણ સામેલ છે.
CM ગેહલોતે ચિંતા વ્યક્ત કરી હતી
સાથો સાથ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખુદ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ફરી એક વખત સરકારને તોડી પાડવાની હલચલ શરૂ થઈ ગઈ છે.અશોક ગેહલોતે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતી વખતે આ દાવો કર્યો હતો.અશોક ગેહલોતના મતે ભાજપ ફરીથી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ રાજસ્થાનમાં બે જૂથોમાં વહેંચાય ગઈ હતી.સચિન પાયલટ નારાજ હતા અને તેમના સમર્થક ધારાસભ્યોની સાથે અલગ થઇ ગયા હતા,લાંબા સમય સુધી રાજકીય ડ્રામા બાદ સચિન પાયલોટ માની ગયા અને પાછા ફર્યા.પરંતુ ત્યારબાદ સચિન પાયલોટને કોઈ મોટી જવાબદારી મળી નથી.