નવી દિલ્હી : રાજસ્થાનમાં અલવરના જિલ્લા વહીવટીતંત્રે ૩૦૦ વર્ષ જૂનું શિવમંદિર તોડી પાડતાં ભારે રાજકીય વિવાદ ઊભો થયો છે.અલવર જિલ્લાના રાજગઢ શહેરમાં ભગવાન શિવનું મંદિર બુલડોઝરથી તોડી પાડ્યું હતું.દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે દિવસ અગાઉ આવું જ પગલું લેવાયું હતું.જે રાષ્ટ્રીયસ્તરે સમાચારોમાં હેડલાઇન્સ બન્યા હતા.મંદિર ધ્વસ્ત થવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સામે આકરા પ્રહારો શરૂ થયા હતા.જોકે સત્તારૂઢ સરકારે આ ઘટનાથી પોતાને અલગ રાખીને દાવો કર્યો છે કે રાજગઢ મ્યુનિસિપલિટી પર ભાજપનું શાસન છે અને ભગવા પક્ષના કાર્યકરો દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે માસ્ટર પ્લાન મુજબ અતિક્રમણ નાબૂદ કરવા પગલું લેવાયું હતું.જોકે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રમુખ સતીષ પૂનિયાએ સવાલ કર્યો હતો કે ૩૦૦ વર્ષ જૂનું મંદિર કેવીરીતે અતિક્રમણ કહી શકાય? ભાજપ સ્થળે તેની ટીમ મોકલી રહી છે અને તે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ મોકલશે.કોંગ્રેસના રાજ્યના પ્રમુખ ગોવિંદ સિંહે કહ્યું હતું કે ભાજપ આ મુદે રાજકારણ રમી રહ્યો છે.૨૦૧૮માં ભાજપ મંડળ પ્રમુખે આ અતિક્રમણ દૂર કરવા માટેની ભલામણ કરતો પત્ર કલેક્ટરને લખ્યો હતો.રાજગઢમાં ભાજપનું બોર્ડ છે, તેની બોર્ડની બેઠકમાં અતિક્રમણને દૂર કરવા માટે ઠરાવ પસાર થયો હતો.
રાજસ્થાનમાં ભાજપના શાસનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના કાર્યકાળમાં અનેક મંદિરો તોડી પડાયા હતાં.બીજી બાજુ, નગરપાલિકા બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે આ કાર્યવાહી પ્રશાસન સ્તરે કરવામાં આવી છે. આ મુદ્દે BJPના આઇટી ચીફ અમિત માલવીયાએ ટ્વીટ કર્યું હતુ, તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, કોંગ્રેસનું સેક્યુઅલરિઝમ માત્ર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું જ છે.રાજસ્થાનના અલવરમાં વિકાસનાં નામે 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું છે.આ સિવાય 18 એપ્રિલના રોજ પણ કોઇ પણ નોટિસ આપ્યા વગર પ્રશાસને 85 હિન્દુઓના પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી નાંખ્યુ હતું.

