જયપુર : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા સચિન પાયલટના બળવાના સૂર સામે પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 48 કલાકમાં સચિન પાયલટ સાથે અનેક વખત વાતચીત થઈ છે.જો કોઈ મતભેદ છે તો કૉંગ્રેસ હાઇકમાન્ડના દરવાજા સચિન પાયલટ સહિત તમામ લોકો માટે હંમેશા ખુલ્લા છે.આ દરમિયાન કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે 102 ધારાસભ્યોએ સીએમ ગહલોતને સમર્થન પત્ર સોંપ્યું છે. સૂત્રોએ એવું પણ કહ્યું કે ડેપ્યૂટી સીએમ સચિન પાયલટ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીની હાલ કોઈ યોજના બનાવવામાં નથી આવી, કારણ કે તેમણે અત્યાર સુધી પાર્ટી વિરુદ્ધ કંઈ પણ નથી કહ્યું. બીજી તરફ સીએમ અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખેંચતાણના સમાચાર વચ્ચે મુખ્યમંત્રીના સમર્થકોએ જયપુર સ્થિત કૉંગ્રેસ કાર્યાલયમાંથી સચિન પાયલટની તસવીરો હટાવી દીધી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનમાં ચાલી રહેલી ઘમાસાણ વચ્ચે સચિન પાયલટ કૉંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં હાજર નથી રહ્યા.
નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના બળવાના સૂર વચ્ચે સોમવારે સવારે આયોજીત કૉંગ્રેસ પાર્ટીની ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે.જે બાદમાં તમામ કૉંગ્રેસના ધારાસભ્યોએ આ બેઠકમાં હાજર રહેવું જરૂરી છે.જે પણ ધારાસભ્ય વ્હીપનો અનાદર કરશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રાજસ્થાન કૉંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેનું કહેવું છે કે મુખ્યમંત્રી અશોક ગહલોતે બીજેપી તરફથી સરકાર પાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.જે બાદમાં સોનિયા ગાંધી તરફથી અમને સાંજ સુધી 109 ધારાસભ્યોની સહમતિ પત્ર પર સહી કરાવવાનું કહેવામાં આવ્યું હતું.પાંડેનું કહેવું છે કે અશોક ગહલોતે સોનિયા ગાંધીને વિશ્વાસ અપાવ્યો છે.અવિનાશ પાંડેનું માનીએ તો અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું છે.