અમદાવાદ : રાજ્યના પોલીસ વડાને ૮ માસનું એક્સટેન્શન અપાયા બાદ ૩૧ મેના રોજ વયનિવૃત્ત થતાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને પણ ૮ મહિનાનું એક્સટેન્સન અપાયું છે.ભારત સરકારે આ માટે લીલીઝંડી આપી દીધી છે પણ ગુજરાત સરકારનું જાહેરનામુ હજુ પ્રસિદ્ધ થયું નથી,જે હવે જાહેર થશે.આ જાહેરાનમુ પ્રસિદ્ધ થયાં બાદ પંકજકુમારનું એક્સટેન્શન નિયમિત થયેલું ગણાશે.આ અગાઉ મુખ્યસચિવ અનિલ મુકીમને પણ સરકારે ૬-૬ માસના બે એક્સટેન્શન આપ્યા હતા અને ત્યારબાદ તેઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ નિવૃત્ત થયાં હતા.સરકારે અનિલ મુકીમને આ નિવૃત્તિ બાદ જર્કના ચેરમેન બનાવી દીધાં છે.અનિલ મુકીમના અનુગામી તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવપદે સેવારત પંકજકુમારે મુખ્ય સચિવપદનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી અત્યાર સુધીના ૯ માસ મુખ્ય સચિવ રહેલા પંકજકુમારને વય-નિવૃત્ત કરવાને બદલે સરકારે વધારાના આઠ માસનું એક્સટેન્શન આપ્યું છે અર્થાત તેઓ હવે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૩ સુધી મુખ્ય સચિવપદે કાર્યરત રહેશે.
પંકજ કુમારની નિવૃત્તિ બાદ નવા મુખ્ય સચિવ કોણ થશે?તેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભારત સરકારમાં ડેપ્યુટેશન પર કામ કરી રહેલા ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને તાત્કાલિક ભારત સરકારનું સચિવપદ છોડાવીને ગુજરાત પરત મોકલાયા હતા.તે વખતે એમ મનાતું હતું કે કદાચ સરકાર પંકજકુમારને વયનિવૃત્તિ સુધી પણ કાર્યરત રાખવાને બદલે મુખ્ય સચિવપદે રાજકુમારને નિયુક્ત કરવાના મૂડમાં છે અથવા પંકજકુમારની વય નિવૃત્તિ બાદ તેમના અનુગામી તરીકે રાજકુમારને જવાબદારી સોંપી દેશે પરંતુ આગામી ડિસેમ્બર-૨૦૨૨માં રાજ્ય વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં જણાતી નથી.