– પદાધિકારીઓની રજૂઆતો અન્વયે હકારાત્મક ઉકેલ લાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચન
– કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદ સભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ વાયર,થાંભલા,ટ્રાન્સફોર્મર જેવા કોઈપણ વીજ મટિરિયલની અછત રાજ્યમાં નથી.આથી રહેણાંક,ખેતી કે ઉદ્યોગ માટેની તમામ અરજીઓનો સુચારૂ રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે.આ બેઠકમાં સંબંધિત વિભાગની કામગીરી અને બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સાંસદ તથા ધારાસભ્યોએ સુધારાવાદી સૂચનો કર્યા તેમજ હાલની વીજ પરિસ્થિતિ અગાઉ કરતા ધણી સંતોષકારક હોવાની લાગણી વ્યકત કરી હતી.
કનુ દેસાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે.ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે.સ્થાનિકોના પ્રશ્નો સંસદસભ્યો-ધારાસભ્યો રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે જેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે.
વધુમાં તેમણે રાજ્યમાં આગામી બે વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે,જે માટે વીજલાઈનોનનું માળખાકીય સુદ્રઢીકરણ ચાલું હોવાનું જણાવ્યું હતું.તેમણે ઊર્જા વિભાગની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, મહામારીમાં વૈશ્વિક સ્તરે કોલસા અને ગેસની અછત સર્જાઈ હતી,જેના કારણે પાવર પ્લાન્ટ્સની ઉત્પાદન ક્ષમતા ઓછી હતી.આવા કપરાં કાળમાં પણ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એકપણ દિવસના પાવર કટ વિના ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે.
પરામર્શ સમિતિના સભ્ય,સંસદસભ્યો-ધારાસભ્યો દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા,ગેસ પાઈપલાઈન તથા વીજવિતરણ લાઈન નાંખતા પૂર્વે સ્થાનિક ખેડૂતો સાથે સંકલન કરવું, ગ્રામ્યકક્ષાએ વીજ બિલની 20 હજાર સુધીની રોકડ રકમ સ્વીકારવા,શહેરી વિકાસ અંતર્ગત અન્ડરગ્રાઉન્ડ વીજલાઈન નાંખવા,સોલર રૂફટોપ અંતર્ગત પેદા થતી વીજળીનું યુનિટદીઠ વળતર વધારવા,રહેણાંકના કનેક્શનના ટ્રાન્સફરના કિસ્સામાં કનેક્શન ડિપોઝીટની રકમ ફરીથી ન ભરવા,વીજચોરીના કિસ્સામાં પોલીસની મદદથી ઝુંબેશ ચલાવવા,વીજ હેલ્પલાઈનની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા,ચોમાસા પૂર્વે વીજલાઈન-થાંભલા આસપાસના જોખમી વૃક્ષોનું ટ્રિમીંગ કરવા વગેરે જેવા મુદ્દે ચર્ચા-વિમર્શ થયો હતો.આ ઉપરાંત વીજ વિતરણની કામગીરી સુદૃઢ બનાવવા સંદર્ભે ટ્રાયબલ સબ પ્લાન કે વનબંધુ યોજના અંતર્ગત વધુ નાણાં ફાળવવા અંગે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંસદસભ્ય નારણભાઈ કાછડીયા,સંસદસભ્ય દિનેશભાઈ અનાવાડીયા,નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ,માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ,કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર,પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર,સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ,ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.ઉપરાંત તમામ સભ્યોએ ઊર્જા વિભાગની કામગીરીથી તેમજ નાણા વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તે બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.
આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તા,નાણાં વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મોના ખંધાર,ઊર્જા અને પેટ્રેકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મમતા વર્મા,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણે,જાહેર સાહસોના કમિશનર જે.રંજિથકુમાર,તમામ વીજ વિતરણ કંપનીઓના મેનેજીંગ ડિરેક્ટર્સ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.