ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ સીટો પર ચૂંટણી યોજાવાની છે.જેમાંથી ભાજપે એક બેઠક માટે વિદેશમંત્રી એસ જયશંકરના નામની જાહેરાત કરી દીધી છે.જ્યારે બે બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે.ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકર,જુગલજી ઠાકોર અને દિનેશ નાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.આ ત્રણ બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે.જેમાં વિદેશમંત્રી એસ જયશંકરે આજે ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે.જ્યારે અન્ય બે ટિકિટ કોને મળશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે.આ વચ્ચે સંભવિત નામોની જાણકારી મળી છે.
ગુજરાતમાં હવે રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપે નામ જાહેર કરવાના છે.ભાજપે હજુ સુધી આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા નથી.ભાજપના સંખ્યાબળને જોતા રાજ્યસભાની ત્રણેય બેઠકોની ચૂંટણી બિનહરીફ થવાનું નક્કી છે.આ વચ્ચે સમાચાર મળ્યા છે કે ભાજપ બે બેઠકોમાંથી એક સીટ પર ક્ષત્રિય અને એક બેઠક પર ઓબીસી ઉમેદવારને તક આપી શકે છે.
વિગત અનુસાર ભાજપ આઈકે જાડેજા અથવા હકુભા જાડેજામાંથી કોઈ એકને ક્ષત્રિય ઉમેદવાર તરીકે રાજ્યસભામાં મોકલી શકે છે.તો ભાવનગરમાંથી એક ઓબીસી ચહેરાને રાજ્યસભાની ટિકિટ મળી શકે છે.ભાવનગરના રઘુ હુબ્બલને રાજ્યસભાની ટિકિટ મળે તેની ચર્ચા થઈ રહી છે.જો બંને નવા લોકોને ટિકિટ મળશે તો ભાજપ દિનેશ નાવડીયા અને જુગલજી ઠાકોરને રીપિટ કરશે નહીં.